કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર જવાના છે પણ તેમના આગમન પહેલા મમતાના ગઢમાં ગાબડું પડતું દેખાઈ રહ્યું છે
મમતા બેનર્જીની પાર્ટીમાં ખળભળાટ, પાર્ટી નેતાઓ આપી રહ્યા છે રાજીનામાં
આજે શીલભદ્ર અને કબિરુલ ઈસ્લામે આપ્યું રાજીનામું
મમતા બેનર્જી એક બાદ એક ઝટકાથી હચમચી ગયા, બોલાવી ઈમરજન્સી બેઠક
તૃણમુલ કોંગ્રેસના નાસભાગ
પ.બંગાળમાં અમિત શાહના પ્રવાસ પહેલા મમતા બેનર્જીની પાર્ટીમાં નાસભાગ મચી ગઈ છે. વધુ એક સિનીયર નેતા શીલભદ્ર દત્તાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને બે દિવસમાં મમતા બેનર્જી માટે આ ત્રીજો મોટો ઝટકો છે. તે બાદ બપોર સુધીમાં સમાચાર આવ્યા કે પાર્ટીના લઘુમતી સેલના નેતા મહાસચિવ કબિરુલ ઈસ્લામે પણ રાજીનામું આપી દીધું. આ પહેલા ગુરુવારે જ શુભેંદુ અધિકારી અને આસનસોલના જિલ્લાધ્યક્ષ જીતેન્દ્ર તિવારીએ પાર્ટી છોડી હતી.
મમતા બેનર્જીનું ટેન્શન વધ્યું
પાર્ટીમાં એક બાદ એક ઝટકાથી મમતા બેનર્જી પણ હચમચી ગયા હતા અને આજે પાર્ટી નેતાઓની આપાતકાલીન બેઠક બોલાવી છે જોકે પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ કોઈ ઈમરજન્સી બેઠક નથી નિયમિત મિટિંગ જ છે. નોંધનીય છે કે આવતા વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે અને આ ચૂંટણીમાં ભાજપ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહયું છે. એવામાં મમતા બેનર્જીને તેમના ગઢમાં જ પડકાર મળી રહ્યો છે ત્યારે પાર્ટી નેતાઓ આજે મમતા આ જ મુદ્દા પર ચર્ચા કરશે.
બીજી તરફ આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી ચર્ચા કરવાના છે. નોંધનીય છે કે ત્રણ આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર મોકલવા મુદ્દે પણ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઇ છે.
મમતા ગઢમાં અમિત શાહની હુંકાર
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને સત્તાધારી તૃણમૂળ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના રૂપ આક્રમક જોવા મળી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે બંગાળના 2 દિવસીય પ્રવાસ માટે પહોંચશે. પહેલા દિવસે બપોરે તેઓ પૂર્વી મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે બપોરનું ભોજન કરશે અને સાથે ખેડૂતોને સાધવાની કોશિશ કરશે. દેશમાં ખેડૂત આંદોલનને લઈને 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે ભોજન કરીને ખેડૂતોને સાધવાનો પ્રયાસ અમિત શાહ કરશે. આ વર્ષે નવેમ્બરમાં પણ તેઓએ એક આદિવાસીના ઘરે ભોજનને પોતાના કાર્યક્મમાં પ્રાથમિકતા આપી હતી.