PM મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ લગભગ એ નક્કી છે કે કોરોના વાયરસને રોકવા માટે દેશમાં જારી લૉકડાઉનને હાલ દૂર કરવામાં આવશે નહીં. આ દરમિયાન શનિવારે સાંજે પશ્ચિમ બંગાળ દ્વારા જારી લૉકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાનું એલાન કર્યું છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ લૉકડાઉન લંબાવવાનું જાહેર કર્યું છે.
મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળે 30 એપ્રિલ સુધી વધાર્યું લૉકડાઉન
પીએમ મોદી સાથે આજે રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન મુદ્દે કરી હતી વીડિયો કોન્ફરન્સિંગ
પ.બંગાળમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું
મહારાષ્ટ્ર બાદ આજે પ.બંગાળમાં પણ લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનું એલાન કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે બેઠક બાદ તેની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી જારી રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થાન 10 જૂન સુધી બંધ રહેશે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધાર્મિક પરંપરા ઘરોમાં જ કરવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં પણ 30 એપ્રિલ સુધી રહેશે લૉકડાઉન
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધી રહેલા કેસને પગલે લૉકડાઉન વધાર્યું છે. મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન 30 એપ્રિલ સુધી આગળ વધારવાનું જાહેર કર્યું છે. રાજ્ય વાર કોરોના વાયરસની સ્થિતિ જોઇએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે નવા 92 કેસ નોંધાયા છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે સમયગાળો આગામી થોડા દિવસોમાં પૂર્ણ થતો હોવાથી પ્રધાનમંત્રી મોદીએ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીના સમગાળાને વધારવા અંગેની ચર્ચા કરી હતી. જેમાં મોટા ભાગના રાજ્યોએ લોકડાઉનની સમયમર્યાદા વધારવા સહમત થયાં હતા.