બંગાળમાં ચૂંટણી બાદ પણ હિંસા બંધ થવાનું નામ લઈ રહી નથી. ત્યારે હવે ગૃહ મંત્રાલયે પણ એડવાઈઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને એડવાઈઝરી જાહેર કરી છે. આ મામલે પીએમ મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહ મંત્રી બંગાળની સ્થિતિને લઈને ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે.
ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે, બંગાળમાં કશ્મીર જેવી સ્થિતિ છે. બીજી તરફ, બંગાળમાં ભાજપના નેતાઓની હત્યા બાદ ભાજપે આજે બશીરહાટમાં 12 કલાકનું બંધનું એલાન પણ જાહેર કર્યું છે. ભાજપ આજે સમગ્ર રાજ્યમાં કાળો દિવસ ઉજવશે. તો 12 જૂનના રોજ ભાજપ વિરોધ રેલી પણ યોજશે.
ઉલ્લેખનીય છે કે, બશીરહાટમાં ઝંડો લહેરાવવાની બાબતમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા અને હિંસામાં ભાજપના 5 અને ટીએમસીના 3 નેતાઓની હત્યા થઈ છે. તો ગઈ કાલે ભાજપે હત્યા થયેલી નેતાઓની સ્મશાન યાત્રા નીકાળી ત્યારે પણ પોલીસે સ્મશાન યાત્રાને રોકી હતી. ત્યારે હવે ભાજપ આજે કાળો દિવસ ઉજવશે.
બંગાળમાં ચાલુ રાજકારણ સંધર્ષ અને હત્યાઓ પર કેન્દ્ર સરકારે ગાઢ ચિંતા વ્યક્ત કરી છે. મમતા સરકારને જારી એડવાઇઝરીમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે ચૂંટણી બાદ પણ ચાલુ હિંસાઓ રાજ્ય સરકારની નિષ્ફળતા દેખાડે છે.