પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પાર્ટીઓએ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે બંગાળમાં હિન્દુ ગરીબ બ્રાહ્મણ માટે પુરોહિત ભથ્થાની જાહેરાત કરી છે.
મમતા બેનર્જીની બ્રાહ્મણને લઇને મોટી જાહેરાત
પશ્ચિમ બંગાળમાં હવે 1 હજાર રૂપિયા પ્રતિ મહિનો ભથ્થું આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હવે 1 હજાર રૂપિયા પ્રતિ મહિનો ભથ્થું આપવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી પુરોહિત સંગઠન દ્વારા આ માગણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 8 હજાર જેટલા નામ રાજ્ય સરકારને મળ્યા છે. સાથે જ મમતાએ એવું પણ કહ્યું છે કે, ઇસાઇ અથવા પારસી ધર્મના લોકોની પણ કોઇ જરૂરીયાત હોય તો જણાવે અમે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.
અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા
કોંગ્રેસે પોતાના પીઢ નેતા અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન પ્રમાણે સોનિયા ગાઁધીએ ચૌધરીને પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જાહેર કર્યા છે.
આપને જણાવી દઇએ કે, લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરી અગાઉ ફેબ્રુઆરી 2014 થી સપ્ટેમ્બર 2018 સુધી પશ્ચિમ બંગાળ પીસીસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બહારામપુરના લોકસભાના સભ્ય ચૌધરી માટે નવી જવાબદારી પણ મહત્વપૂર્ણ અને પડકારજનક છે એ અર્થમાં કે આવતા વર્ષે એપ્રિલ-મેમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની દરખાસ્ત છે.
બંગાળમાં ડાબેરી મોરચા સાથે જોડાણ માટે કોંગ્રેસ તૈયાર: અધિર રંજન
પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ, અધિર રંજન ચૌધરીએ તાજેતરમાં કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ સીપીઆઈ-એમની આગેવાનીવાળા ડાબેરી મોરચા સાથે જોડાણ કરવા તૈયાર છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં મૂળ લડાઇ ધર્મનિરપેક્ષતા અને કોમવાદ વચ્ચે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ સંભાળ્યા પછી, ચૌધરીએ કહ્યું કે, "કોંગ્રેસના બિનસાંપ્રદાયિક આદર્શો ભાજપ અને તૃણમૂલના સાંપ્રદાયિક નિવેદનને પરાજિત કરશે." ડાબેરી મોરચા સાથે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસના કુશાસન સામે સંપૂર્ણ જોમ સાથે લડવા માંગે છે. "