પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અંદર જ ડખા વધી રહ્યા છે. દિલ્હીના કેન્દ્રીય નેતૃત્વએ રાતોરાત બંગાળના નેતાઑને દિલ્હી બોલાવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ભાજપમાં વિરોધનો વંટોળ
ટિકિટ ન મળતા અમુક કાર્યકરો નારાજ
મંગળવારે નેતાઑને દિલ્હીનું તેડું
દિલ્હીમાં નેતાઓની હલચલ વધી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને તાબડતોબ પ્રચારક કરવામાં આવી રહ્યો છે અને ભાજપ અને ટીએમસી વચ્ચે આ વખતે સીધી ટક્કર દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ શક્તિ આ ચૂંટણીમાં લગાવી છે ત્યારે બંગાળમાં ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને તકરાર શરૂ થઈ ગઈ છે જેના કારણે દિલ્હીમાં નેતાઑની હલચલ વધી છે.
સોમવારે શાહે કરી બેઠક; મંગળવારે નેતાઑ દિલ્હી બોલાવાયા
વિરોધનો વંટોળ કાબૂમાં લેવા માટે ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાત્રે પોતાના કાર્યક્રમોને રદ કરીને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ અને અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી અને મોડી રાત સુધી આ બેઠકો ચાલી હતી. જોકે મંગળવારે પણ ભાજપના કાર્યકરો ન માન્યા જે બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દિલીપ ઘોષ, મુકુલ રૉય અને અન્ય નેતાઑને મંગળવારે રાત્રે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.
કાર્યકર્તાઓનો વિરોધ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં 200 બેઠકોનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ ટિકિટ આપવા મામલે ભાજપના કાર્યકર્તાઓ નારાજ હોવાનું બંગાળમાં સામે આવ્યું છે. ઉમેદવારોની જાહેરાત બાદ કોલકાતામાં પાર્ટીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે અને મોટા મોટા નેતાઓને ઘેરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલીક જગ્યાઑ પર તો પથ્થરબાજી જેવી ઘટનાઑ પણ સામે આવી છે.
ભાજપે સાંસદોને પણ મેદાને ઉતાર્યા
નોંધનીય છે કે રવિવારે ભાજપ દ્વારા બંગાળની ચૂંટણી માટે ત્રીજા અને ચોથા ચરણને લઈને ઉમેદવારોને નામ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈને અમુક કાર્યકરોમાં અસંતોષ છે. જોકે આ ઉમેદવારોની યાદીમાં ભાજપે પોતાના વર્તમાન સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે જેને લઈને પણ રાજ્યમાં તે ચર્ચાનો વિષય બન્યો છે.