પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અમિત શાહ સાથે મુલાકાત દરમ્યાન તેઓએ એનઆરસીને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલા બુધવારનાં રોજ મમતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર સહિત મુલાકાત કરી. આ દરમ્યાન મમતાએ પીએમ મોદીને બંગાળ આવવાનું પણ આમંત્રણ આપ્યું. મમતાનાં બદલેલા વલણનું ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ સ્વાગત કર્યુ.
ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, 'હું પ્રથમ વાર ગૃહમંત્રીને મળી છું. મારે મોટે ભાગે દિલ્હી આવવાનું નથી થતું. ગઇ કાલનાં હું પ્રધાનમંત્રી મોદીને મળી હતી. આ મુલાકાત ગૃહમંત્રી સાથે સંવૈધાનિક દુરૂપયોગ સહિત અનેક મામલાઓને લઇને થઇ છે.'
મમતાએ ગૃહમંત્રી સાથે મુલાકાત દરમ્યાન એનઆરસીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, 'મે તેમને એક પત્ર સોંપ્યો છે. મે NRCથી બહાર કરવામાં આવેલા 19 લાખ લોકોને વિશે પણ વાત કરી. આ લોકોમાં અનેક બંગાલી, ગોરખા અને હિંદી બોલનારા લોકો પણ શામેલ છે. સાચા નાગરિકોને મોકો આપવો જોઇએ. હું અહીં અનેક મુદ્દાઓ પર ચર્ચા માટે આવી હતી.' તેઓએ કહ્યું કે, NRCથી લોકો ડરેલા છે અને નાગરિકોને પરેશાન ના કરવામાં આવે.'
Delhi: Chief Minister of West Bengal, Mamata Banerjee meets Union Home Minister Amit Shah. pic.twitter.com/Ar168beWuG
મમતાએ વધુમાં જણાવ્યું કે, ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળમાં NRC મામલામાં કંઇ જ નથી કહ્યું. ગૃહમંત્રીએ અમારી તમામ વાતોને ધ્યાનથી સાંભળી, મને લાગે છે કે તેઓ પોઝીટિવ રોલ પ્લે કરશે. તેમણે (શાહ) એ વિશ્વાસ અપાવ્યો છે કે આ મુદ્દા પર તેઓ જરૂરથી ધ્યાન આપશે.
મમતા બેનર્જી અને મોદી વચ્ચે થઇ હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારનાં ગઇ કાલનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પીએમ આવાસ પહોંચ્યાં હતાં. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને મિઠાઇ અને કુર્તો પણ ભેટ આપ્યાં હતાં. મમતા બેનર્જીએ એક દિવસ પહેલા પીએમ મોદીનાં જન્મદિવસે ટ્વિટ કરીને તેમને શુભકામના પણ પાઠવી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે, 'પ.બંગાળનું નામ બદલવાને લઇને પણ વાતચીત થઇ હતી.'
PM મોદીની મુલાકાત બાદનું મમતા બેનર્જીએ કહ્યું હતું કે,
'અમારી મુલાકાત ખૂબ સારી રહી. પ. બંગાળનું નામ બદલવાને લઇને પણ બેઠકમાં વાતચીત થઇ હતી. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે કોલ બ્લોક મુદ્દા પર પણ વાત થઇ છે. એમણે કહ્યું કે NRCને લઇને પીએમ મોદી સાથે કોઇ જ વાત નથી થઇ. આ આસામને લઇને છે, અમે બંગાળમાં તેને લાગુ નહીં કરીએ.'
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પ.બંગાળનું નામ બાંગ્લા કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવાથી ઇન્કાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ માટે બંધારણ સંશોધનની આવશ્યકતા છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સમગ્ર દેશમાં લાગુ થશે. લોકસભા ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, અમારો પક્ષ NRC લાગુ કરશે. દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં કોઈ પણ જઈને ગમે ત્યાં રહેવા લાગે પરંતુ ભારત તેમાં કેમ અપવાદ હોવું જોઈએ. આસામ સિવાયનાં રાજ્યોમાં અમે તેને લાગુ કરીશું. અમિત શાહે કહ્યું હતું કે, NRCનો અર્થ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ થાય છે, નહીં કે નેશનલ રજિસ્ટર ઓફ આસામ. જો કોઇ વ્યક્તિ બીજા દેશમાં જઇને રહી ના શકે તો પછી ભારતમાં કેમ કોઈ પણ વ્યક્તિ આવીને રહી શકે?