રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રણનીતિ બનાવાનું શરૂ કરી દીધું છે. તેને ધ્યાનમાં રાખીને બંગાળના મુખ્યમંત્રી 15 જૂને દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં વિપક્ષના મુખ્યમંત્રી અને નેતાઓે સાથે એક સંયુક્ત બેઠકમાં ભાગ લેશે. તેના માટે મમતાએ 22 નેતાઓને પત્ર પણ લખ્યો છે.
આટલા મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર
તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરલના મુખ્યમંત્રી પિનરઈ વિજયન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગણાના સીએમ ચંદ્રશેખર, તમિલનાડૂના સીએમ એમ કે સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના સીએમ ભગવંત માનનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો છે.
એક નિવેદનમાં, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કહ્યું કે, આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ વિરોધ પક્ષોના મુખ્યમંત્રીઓને વિનંતી કરી છે અને નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે તમામ પ્રગતિશીલ વિપક્ષી દળોને 15મી જૂનના રોજ બપોરે 3 વાગ્યે કોન્સ્ટિટ્યુશન ક્લબ, નવી દિલ્હી ખાતે બેઠક યોજવા અને રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા આહ્વાન કર્યું છે.
આ પહેલા ગુરુવારે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈના રોજ થશે. 4,809 સાંસદો અને ધારાસભ્યો ધરાવતી ઈલેક્ટોરલ કોલેજ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.
ધનખડેએ હિંસા પર ચિંતા વ્યક્ત કરી
અગાઉ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકર્તાઓની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હાવડા જિલ્લાના કેટલાક ભાગોમાં શનિવારના વિરોધ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્ય મંત્રી મમતા બેનર્જીને આ સમસ્યાનો કડકાઈથી સામનો કરવા અને કાયદો તોડનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.