દેશમાં એક તરફ દરેક રાજ્ય પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રેનોની માંગ કરી રહ્યું છે, ત્યારે પ.બંગાળે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પાછા લાવવામાં અસમર્થતા દર્શાવી છે.
પ.બંગાળમાં 26 મે સુધી રાજ્યમાં કોઇ ટ્રેન મોકલવામાં ન આવે : પ.બંગાળ મુખ્ય સચિવ
અમિત શાહે લગાવ્યો હતો આરોપ, બંગાળ પોતાના પ્રવાસીઓને પરત ફરવાની મંજૂરી નથી આપતું
પ.બંગાળના મુખ્ય સચિવે રેલવેને પત્ર લખીને કહ્યું કે રાજ્યનું તંત્ર હાલ વાવાઝોડા 'અમ્ફાન' ને કારણે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે. તેથી આવનારા કેટલાક દિવસો સુધી રાજ્યમાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને રિસીવ કરવી મુશ્કેલ રહેશે. આથી અપીલ કરવામાં આવે છે કે 26 મે સુધી રાજ્યમાં કોઇ ટ્રેન મોકલવામાં ન આવે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેલવે મંત્રાલયથી વાવાઝોડા 'અમ્ફાન' ને કારણે 26 મે સુધી રાજ્યમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન ન મોકલવા કહ્યું છે. પ.બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હા તરફથી રેલવે બોર્ડના પ્રમુખ વી.કે. યાદવને 22 મે એ પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં કહેવામાં આવ્યું કે રાજ્ય 20થી 21 મેએ ભયાનક વાવાઝોડા 'અમ્ફાન' થી ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
ભયાનક વાવાઝોડા 'અમ્ફાન' ને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત નુકશાન થયું છે. આ ભયાનક વાવાઝોડાથી પ.બંગાળમાં 86 લોકોના મોત થયા છે. વાવાઝોડાના આવ્યા બાદ અધિકારી સ્થિતિને સામાન્ય બનાવા લાગી ગયા છે. ત્યારે કોરોના વાયરસને ધ્યાને લેતા લાગૂ લૉકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કર્યા બાદ પ.બંગાળમાં સૌથી ઓછી ટ્રેન મોકલાઇ છે.
આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે બંગાળ પોતાના પ્રવાસીઓને પરત ફરવાની મંજૂરી આપી રહ્યું નથી. ત્યારબાદ એ નક્કી કરાયું કે આ ટ્રેનોના સંચાલન માટે રાજ્યની મંજૂરી લેવી જરૂરી નથી. 1 મેથી અત્યાર સુધીમાં લગભગ 2,000 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી છે. જેમાંથી 31 લાખ પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવામાં આવ્યા. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 25 રેલગાડીઓ આવી છે.