પાંચ રાજ્યોની ચૂંટણી તારીખોના એલાન પછીથી જ રાજકીય પક્ષો દ્વારા કોરોના કાળ હોવા છતાં પણ પ્રચારમાં તેજી લાવી દેવામાં આવી છે, દરેક પક્ષના પ્રમુખ નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.
અમિત શાહે આસામમાં સંબોધી સભા
આસામમાં પણ યોજાઇ રહી છે ચૂંટણી
હાલમાં સોનોવાલના વડપણ હેઠળની ભાજપ સરકાર છે
આસામ, પશ્ચિમ બંગાળ, પુદૂચેરી, તમિલનાડુ અને કેરળમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ રાજ્યોમાં પહેલાથી જ કાર્યરત એવા પ્રાદેશિક પક્ષો અને ભાજપ-કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો પણ ઝંપલાવી ચૂક્યા છે અને અમુક રાજ્યોમાં આ બહુકોણીય સ્પર્ધા થઈ ચૂકી છે, જેને લઈને વિવિધ નેતાઓ દ્વારા ચૂંટણી સભાઓ ગજવવામાં આવી રહી છે. હોસ્પિટલમાંથી જ ડિસ્ચાર્જ થયા પછી આજે પુરૂલિયામાં મમતા બેનરજીએ એક સભાને સંબોધન કર્યું હતું, જ્યારે કે ગૃહમંત્રી અમિત શાહ , ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ આસામમાં પ્રચાર કર્યો હતો.
આસામમાં રાષ્ટ્રવાદી સરકાર હોવી જોઈએ
નોંધનીય છે કે ગુવાહાટીમાં ગૃહ પ્રધાન શાહે કહ્યું હતું કે આસામમાં રાષ્ટ્રવાદી સરકાર હોવી જોઈએ જે ફક્ત આસામ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વ માટે કાર્ય કરે. અમારો ઉદ્દેશ એક સમૃદ્ધ આસામ અને એક સંસ્કૃતિની સ્થાપના કરવાનો છે જે ઇશાન ભારતના પ્રાદેશિક સમુદાયોને જોડે છે.
વધુમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે 20-25 વર્ષથી અમે માની જ નહોતા શકતા કે આસામ આંદોલન, હિંસા, ઘૂસણખોરી અને આતંકવાદ વિના પણ હોઇન શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઘૂસણખોરી રોકી ન શકતા આસામની ઓળખને શું બચાવશે? અજમલ તમારા ખોળામાં બેઠો છે અને આસામની અસ્મિતા વિશે વાત કરવામાં શરમ નથી કરતા.
કોંગ્રેસ કઈ રીતની ધર્મનિરપેક્ષ પાર્ટી છે
આસામના ગુવાહાટીમાં શાહે કહ્યું હતું કે કોંગ્રેસ એક તરફ ધર્મનિરપેક્ષતાની વાત કરે છે અને બીજી બાજુ બદરૂદ્દીન અજમલ સાથેન અહીં અને કેરળમાં મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં બેઠા છે. તે કઈ ધર્મનિરપેક્ષ પાર્ટી છે તે મને સમજાતું નથી. તેમની ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા અજોડ છે.
વધુ એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આંદોલન મુક્ત આસામ પણ અમારો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આસામના યુવાનો પર ફાયરિંગ કરનારી કોંગ્રેસ આજે આસામની અસ્મિતાની વાત કરે છે. કોંગ્રેસે 70 વર્ષમાં બ્રહ્મપુત્રા ઉપર પુલ બનાવ્યો હતો. તેઓ ઇચ્છતા ન હતા કે આસામ એક બને. મોદીજીએ છ વર્ષમાં છ પુલ બનાવ્યા છે.