પ્રધાનમંત્રી સાથેની બેઠક બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફતીએ ફરી એક વાર પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની જરુરત ગણાવી છે.
મહેબૂબા મુફતીએ પાકિસ્તાન સાથે મંત્રણા પર મૂ્ક્યો
જમ્મુના લોકોની ભલાઈ માટે પાકિસ્તાન સાથે વાત કરવામા આવે
મુફતીએ જણાવ્યું પાકિસ્તાન સાથે વેપાર ફરી વાર શરુ કરવામાં આવે
પીએમ સાથેની બેઠકમાંથી બહાર આવ્યાં બાદ મુફતીએ કહ્યું કે મેં સર્વપક્ષીય બેઠકમાં પીએમને કહ્યું કે તમે લોકો જો ચીન સાથે વાત કરી રહ્યાં હોવ તો જમ્મુ કાશ્મીરના લોકોની ભલાઈ માટે પાકિસ્તાન સાથે વાતચીત કરો. જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનની વચ્ચે બંધ પડેલા વેપારને ફરી વાર ચાલુ કરવાની જરુર છે. હજારો લોકો બેરોજગાર બન્યાં છે. તે ઉપરાંત રાજ્યમાં જે ધરપકડ અને સખ્તીનો માહોલ છે તેને પણ સુધારવાની જરુર છે.
આર્ટિકલ 370 ને બહાલ કરીને રહીશું-મુફતી
મુફતીએ જણાવ્યું કે 5 ઓગસ્ટ 2019 ના દિવસે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારના આ ફેસલાથી અહીની જનતા ઘણી નારાજ છે અને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ કરી રહી છે. બેઠકમા અમે જનતાની માંગ સામે રાખી છે. ભાજપ સરકારે ગેરકાયદેસર રીતે આર્ટિકલ 370 હટાવી છે. અમે લોકો શાંતિપૂર્ણ રીતે તેની સામે આંદોલન ચાલુ રાખીશું, ભલેને ગમે તેટલો સમય લાગે. આર્ટિકલ 370 અમારી ઓળખ છે. આ ઓળખ અમને પાકિસ્તાન દ્વારા નહીં પણ હિંદુસ્તાન દ્વારા મળી હતી. દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પણ અમને આ ઓળખ આપી હતી.
અમને ફરી વાર પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે-ઉમર અબ્દુલા
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ જણાવ્યું કે આર્ટિકલ 370 હટાવતા પહેલા પણ જમ્મુ કાશ્મીરના તમામ નેતાઓની સાથે આ પ્રકારની બેઠક થવી જોઈએ. બધાનો અભિપ્રાય જાણ્યા બાદ નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનો સ્વીકાર ન થઈ શકે પરંતુ તેના વિરોધમાં કાયદો હાથમાં લેવા માંગતા નથી. અમે પીએમની સામે અમારા મનની વાતો કરી છે. જમ્મુ કાશ્મીરને ફરી વાર પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી અહીંના લોકોની ઈચ્છા છે.