કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, કાર્યકરોના આવકારથી ગદગદિત થઈ ગયા જગદીશ ઠાકોર, પણ સિનિયર ન દેખાયા
એરપોર્ટ પર નવા પ્રમુખનું સ્વાગત કરાયું
હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એરપોર્ટ પર ઉમટ્યા હતા
એરપોર્ટ પર સ્વાગતમાં મોટા નેતાઓની ગેરહાજરી
રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરી છે.જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે આ નિર્ણય કર્યો હોવાની ચર્ચા થઈ છે. ત્યારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જગદીશ ઠાકોરને આવકારવા તડામાર તૈયારીઓ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. એરપોર્ટની બહાર સ્વાગત બાદ નાના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પણ મહત્વની વાત એ છે કે સ્વાગતમાં સિનિયર નેતાઓની ગેરહાજરી રહી હતી.
અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી સ્વાગતમાં કેમ ન દેખાયા?
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે પ્રભારી રઘુ શર્મા અને સુખરામ રાઠવાની પણ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગતવિધિ કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉમટી પડ્યા હતા. પણ આંખે ઉડીને વળગે એવી વાત હતી કે સ્વાગતમાં સિનિયર નેતાઓની સૂચક ગેરહાજરી દેખાતી હતી. ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોરના સ્વાગત માટે ન આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ નિવેદન
એરપોર્ટ પર જગદીશ ઠાકોરે વીટીવી સમક્ષ પ્રથમ નિવેદન આપતા કહ્યું હતું કે મારા પર વિશ્વાસ મુકી જવાબદારી સોંપી છે, પ્રદેશ નેતાઓ સાથે મળીને કામ કરીશું, સ્વાગત માટે કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓનો આભાર.2022માં ગુજરાત કોંગ્રેસનો વિજય થશેએ પાક્કું છે.
કઈ શરતે 'જગદીશ'ને કોંગ્રેસની કમાન
જગદીશ ઠાકોર આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે અને આ ચૂંટણી ન લડવાની શરતે જ આ જવાબદારી સોંપવામાં આવી છે.જગદીશ ઠાકોર સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરશે. પ્રદેશ પ્રમુખ સંગઠનનું જ કામ કરશે. રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે