છેલ્લા કેટલાક સમયના વિરામ બાદ ગઇકાલે રાજકોટ, અમરેલી અને વલસાડમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહથી વરસાદનું આગમન થવાની શક્યતા છે.
આગામી સપ્તાહથી રાજ્યમાં વરસાદનું આગમન
જેમાં નવસારી, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની અસર વધુ જોવા મળશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ છૂટો છવાયા વરસાદ પડે તવી આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં આગામી સપ્તાહથી વરસાદનું આગમન થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 21થી 29 જુલાઇ વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હાલમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રતિક્રિયા આપી હતી કે, રાજ્યમાં સારા વરસાદની હજી પણ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હાલ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સપ્તાહથી જ વરસાદનું આગમન થવાની સંભાવના છે. મહત્વનું છે કે દર વર્ષે જુલાઈ સુધીમાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે.
રાજકોટ, અમરેલી, વલસાડમાં વરસાદનું આગમન
ગઇકાલે રાજકોટ, જેતપુર, વલસાડ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. લક્ષ્મીનગર રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થઇ ગયો હતો. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્પકેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોના વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતાં. આ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વરસાદ સારો પડે તવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.