ભાવનગર: રાજ્યમાં વરસાદ સારો પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ ભાવનગર જીલ્લાના ખેડૂતો મેઘરાજાની મ્હેર થાય તેની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી અપૂરતા વરસાદથી પાણીની સમસ્યાને લઈને ભાવનગરના ખેડૂતોમાં આ વર્ષે સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરી છે. આ વર્ષે ભીમ અગ્યારસના દિવસે આદ્રા નક્ષત્ર આવતું હોવાથી વરસાદ પણ સારો થશે તેવી આશા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે પૂરતો વરસાદ થશે તેના એંધાણમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે. તો સાથે જ આ વર્ષે જો ઓછો વરસાદ થશે તો ખેડૂતો મુશ્કેલીનો સામનો કરવો પડે તે એક ચિંતાનો વિષય છે. મહત્વનું છે કે આ વર્ષે પાણીની સમસ્યા અટલી હદ સુધી વધી ગઈ હતી કે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પર્યાપ્ત મળતું ન હતું ત્યારે આ ચોમાસામાં ભરપૂર વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતો આકાશ સામે તાકીને મેઘની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં દર વર્ષે 6.50 લાખ હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં સૌથી વધુ 4 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. બાદમાં ડુંગળી અને મગફળી તેમજ બાજરીનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં ખેતી આધારિત અર્થતંત્ર છે અને તેના કારણે ગ્રામ્ય જીવન ધબકતું રહે છે. ગત વર્ષે ઓછા વરસાદ ના કારણે આ વર્ષે ખેતરમાં આવેલા કુવાઓ તેમજ બોર માં પાણી ખાલી છે અને હવે ખેડૂતોએ માત્ર આવનારા દિવસોમાં સારો વરસાદ આવે તેની આશાએ જ બેસવું પડ્યું છે.
આપને જણાવી દઇએ કે મોંઘા બિયારણો અને ઓઝારો ખરીદીને રાત-દિવસ ખેતરમાં મજૂરી કરીને પાક ઉતારનારા જગતના તાતને બજારમાં પૂરતા ભાવો મળતા નથી ત્યારે ખેડૂતોને ના છૂટકે જીવન ટુંકાવવાનો વારો આવે છે તેવા સમયે સરકાર ભાવો માટે પહેલેથી જ ભાવ બાંધનું નક્કી કરે તે જરૂરી છે.