અમદાવાદ: રાજ્યમાં લાંબા વિરમ બાદ મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લા પાણીથી તરબોળ થયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રાજયમાં કુલ 62 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના તાલુકાની વાત કરીએ તો મોટાભાગના તાલુકાઓમાં એકથી લઈને છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં સૌથી વધારે વરસાદ પડયો છે અને અમદાવાદ તથા ખેડામાં ભારે વરસાદ નોંધાયો છે.
કપડવંજમાં છ ઈંચ ગોધરામાં પાંચ ઈંચ કલોલ સાણંદ અને માતરમાં ચાર ચાર ઈંચ વરસાદ નોંધાયો. અમદાવાદ શહેરમાં કુલ ચાર ઈંચ વરસાદ બાલાસિનોર સોજીત્રા પાવી જેતપુરમાં પણ ચાર ચાર ઈંચ વરસાદ પડયો છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સાંજે વરસાદનું જોર ઓછું પડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના કારણે પંચાયત વિભાગના 34 રસ્તાઓ બંધ છે. જ્યારે 81 ગામોમાં વીજળી ગૂલ થઈ હતી જેમાંથી 18 ગામોમાં વીજળીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે જ્યારે 63 ગામોમાં વીજળી પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.
આપને જણાવી દઇએ કે આ તરફ રાજ્યના જળાશયોમાં 203 જળાશયોમાંથી 100 ટકા ભરાયેલા જળાશયોનો આંકડો 12 છે જ્યારે 70 ટકાથી 100 ટકા 29 જળાશયો 50 થી 70 ટકા 25 જળાશયો 25 થી 50 ટકા 50 જળાશયો જ્યારે 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો હોય તેવા 87 જળાશયો છે જેમાં 36.45 ટકા કૂલ પાણીનો જથ્થો છે.