ગીર-સોમનાથ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નદી નાળા છલકાયા હતા અને કેટલાક જિલ્લાઓમાં જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું. હવે વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથના કોડીનારની શીંગવડા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ તરફ જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ઓઝત નદીમાં ભારે પુર આવ્યું હતું.
ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા હતા.બીજી તરફ ઉનામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદથી શાહી નદી ગાંડીતૂર બની હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે ખાત્રીવાડા ગામ સંપર્ક વિહોણુ થયુ હતું. નદીઓમાં પુર આવતા ખાત્રીવાડા ગામ બેટમાં ફેરવાયુ હતું.
પોરબંદરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માધવપુરની મઘુવંતી નદીમાં નવા નીરની આવક આવક થઈ હતી પરંતું નદીમાં કોઈ બંધ ન હોવાથી મીઠું પાણી સમુદ્રમાં ભળી ગયું હતું.
નદીમાં ઘોડાપૂર આવતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને પૂર જોવા માટે લોકો ઉમટયા હતા. નદીનો પ્રવાહ એટલો જોરદાર અને ધસમસતો હતો કે જો કોઈ આની લપેટમાં આવી જાય તો સમજો કે જાનથી હાથ ધોવાનો વારો આવે.
આપને જણાવી દઇએ કે એક તરફ સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા ચાલી રહી છે અને બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરેલ છે ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં વરસાદ કેવી માત્રામાં પડે છે.