મુંબઇ: હવામાન વિભાગ દ્વારા પુરની તારાજી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. દેશના પાંચ રાજ્યમાં ભારે વરસાદના પગલે 43 લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મુંબઈ કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
વરસાદને લઈને સરકાર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબમાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ મૂશળધાર વરસાદના પગલે હિમાચલ પ્રદેશમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનના અનેક બનાવો બનાતા અનેક રસ્તાઓ બંધ છે.
કેરળમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ સાથે જ કેટલાય પરિવારજનોના હાલ બેહાલ થયાં છે.ત્યારે વધુ એકવાર વરસાદ અંગેની આગાહી કરવામાં આવતા તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવા મથામણ શરૂ કરી દેવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે કેરળમાં વરસાદે જળબંબાકાર કર્યા બાદ હાલ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પર કહેર વરસી રહ્યો છે. તો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાને પગલે સ્થાનિક લોકોને સ્થળાંતરણ કરવાની ફરજ પડી હતી.
તો આ ઘટના બાદ ફરીએક વાર કેરળ મુંબઇ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા કેરળવાસીઓના જીવ પડીકે બંધાયા છે.