વલસાડ: જિલ્લામાં છેલ્લાં 8 દિવસથી મેઘાની મહેર છે. સતત 8 દિવસથી વરસાદની હેલીથી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ગત મોડીરાતે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. તો આજે પણ જિલ્લામાં વરસાદનું જોર યથાવત જોવા મળ્યું.
જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વરસેલા વરસાદ પર નજર કરવામાં આવે તો વાપીમાં 4 ઈંચ ધરમપુરમાં 2 ઈંચ કપરાડામાં 4.32 ઈંચ પારડીમાં 3.22 ઈંચ અને ઉમરગામ તથા વલસાડમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
સતત 8 દિવસથી પડી રહેલા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓ અને નાળાઓમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ડેમમાં 71 હજાર 336 ક્યૂસેક પાણીની આવક થતા ડેમની સપાટી હાલ 71.75 મીટરે પહોંચી છે.
ભારે વરસાદને પગલે રૂલ લેવલ મેઈન્ટેઈન કરવા માટે ડેમના 8 દરવાજા 2.40 મીટર ખોલાયા છે. જેમાંથી 68 હજાર 33 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી કીનારાના ગામોના લોકોને પણ એલર્ટ કરી દેવાયા છે. જો કે હજુ પણ આવનારા સમયમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.
આપને જણાવી દઇએ કે રાજ્યમાં વરસાદની સિઝમ જામી પડી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં હજી સુધી જરૂરિયાત મુજબનો વરસાદ નહીં પડતા સ્થાનિક ખેડૂતો પરેશાન થઇ ઉઠ્યા હતા અને મેઘરાજને મનાવવા માટે પૂજા અર્ચના કરવા લાગ્યા છે. જો કે રાજ્યના હવામાન ખાતા દ્વારા એક આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી 2 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે.