રાજ્યમાં કેટલાક હિસ્સામાં ચોમાસું જીવનદાયી બનવાને બદલે આકરૂ બની રહ્યું છે. છાપામાં મેગેઝિનોના ગ્લોસી પેપર પર અને ટીવીના રૂપેરી પરદે જોવા મળતાં ચોમાસાના આકાશી દ્રશ્યો ભલે તમને રોમાંચક લાગતા હોય પરંતુ જમીન પર વ્યાપક ખાનાખરાબી જોઈ રુંવાડાં ઊભા થઈ રહ્યાં છે.ક્યાંક ઘરના છાપરા પર આશરો લેવો પડયો છે તો ક્યાંક દોરડાં જીવાદોરી બની રહ્યા છે. તો ક્યાંક રસ્તાઓએ અધવચ્ચેથી સાથ મુકી દીધો છે. મુસીબત પારાવાર છે. માનવી લાચાર છે અને તંત્ર હજુ પેલેપાર છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસું ધુવાંધાર ઈનિંગ ખેલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે પણ વરસાદ અવિરત રહ્યો છે. છ દિવસથી વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્રમાં ભયાનક તારાજી સર્જી છે.
છાપાઓમાં મેગેઝિનોમાં અને ટીવીના રૂપેરી પરદે જોવા મળતા વરસાદી મંજરના આકાશી દ્રશ્યો આંખોને ભલે મનભાવન લાગે પરંતુ સાક્ષાત સ્થળ પર જશો તો ભયથી થરથરી ઊઠશો. કેમ કે મેઘની મહેર હવે એવાતો કહેરમાં બદલાઈ ગઈ છે કે બચવા માટે સ્થળ મળતા નથી.
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ સર્જેલી તારાજીના આકાશી દ્રશ્યો ભલે નયનરમ્ય લાગે પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે ગીરસોમનાથના કનેરી ગામમાં સૌથી વધારે ખાનાખરાબી સર્જાઈ છે. અહીં ખેતરો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક લોકો હજુ સંપર્ક વિહોણા થઈ ગયા છે.
તો આ તરફ ઉના તાલુકાના ઉટવાળા ગામમાં ભારે વરસાદને કારણે ગામ બેટમાં ફેરવાયું છે. ગામ કાંઠેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર છે. લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આ ગામ સુધી તંત્રની કોઈ મદદ પહોંચી શકી નથી. પરંતુ લોકો જીવ બચાવવા જાતે વ્યવસ્થા ઊભી કરવા મજબૂર બન્યા છે.
ધસમસતા પૂરમાં દોરડાની મદદથી નદી ઓળંગી સુરક્ષા શોધી રહ્યા છે. તો આ તરફ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું લેરકા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે. ઉના તાલુકાના લેરકા ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. તો રહેણાંક મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
એક તરફ નદીમાં ધસમતુ આ પૂર ટીવી પર ભલે અદભૂત નજારો લાગતો હોય પરંતુ સ્થાનિક લોકો માટે આ પૂર મહામુસિબતનુ પૂર બની રહ્યું છે. ગીર સોમનાથમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગીરગઢડામાં દ્રોણેશ્વર ડેમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમ ભયજનક સપાટીએ પહોચ્યોછે. જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તો આ તરફ ઉનાનું માણેકપુરા ગામ બેટમાં ફેરવાયું છે.
ગામના લોકો હોડી મારફતે અવર જવર કરવાની ફરજ પડી છે. તો કેટલાક ગામલોકોની હાલત વધારે કફોડી બની છે. સતત વરસાદને કારણે ગામના કેટલાક ઘરોમાં લોકો બીમાર પણ થયાં છે. હાલ ઉનાના માણેકપુરા ગામની હાલત અત્યંત દયનીય બની છે. તો આ તરફ ગીર ગઢડામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ આવતા બોડીદાર ગામ બેટમાં ફેરવાયુ છે. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો એક ગામથી બીજા ગામમાં જવા માટે જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. ગણદેવી નદી પરનો આ આકાશી નજારો ભલે અદભૂત લાગતો હોય પરંતુ ધરતી પર જનજીવન અસહાય હાલતમાં મૂકાયું છે. નવસારીના ગણદેવીમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂર આવ્યું છે.
નદીમાં પાણી આવતા બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. બીજા બ્રિજ પરથી વાહનચાલકો ડરતા ડરતા પસાર થઈ રહયા છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. નદીકાંઠાના રહેવાસી વિસ્તારોમાં પણ ભરાયાં છે. તો આતરફ નવસારીનું ઘોલ ગામ. છેલ્લા 12 દિવસથી ઘોલ ગામ સંપર્ક વિહોણું છે. ગામમાં જવા માટેનો એકમાત્ર રસ્તો હોવાથી ગ્રામજનો હોડી મારફતે આવનજાવન કરી રહ્યા છે. ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે.