ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર-મેઘકહેર બની ગયો અને સમગ્ર જિલ્લો બેટમાં ફેરવાય ગયો હતો. જોકે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા ધરતીપુત્રોએ થોડો હાશકારો લીધો. પરંતુ કોડિનાર તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં વરસાદના વિરામ બાદ પણ ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે.
બે-બે દિવસ વીતી ગયા છતાં હજુ સુધી આ ગામડાઓમાંથી વરસાદના પાણી ઓસર્યાં નથી. ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. બે દિવસ વિત્યાં છતાં પાણી ભરાયેલાં છે. જેના કારણે પાક નિષ્ફળ ગયો છે. બિયારણો ફેઈલ ગયા છે. એવો માહોલ સર્જાયો છે કે ધરતીપુત્રોએ માથે હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વરસાદી પુર ઓસર્યા છે. પરંતુ ખેતરો અને ગામડાઓ હજૂ પણ બેટની સ્થિતિમાં છે. ત્યારે Vtvની ટીમ હકીકત જાણવા માટે અને સરકાર સુધી ખેડૂતોની સ્થિતિ અને વાત પહોંચાડવા માટે કોડિનારના સરખડી ગામે પહોંચી હતી. અમારી ટીમ જ્યારે સરખડી પહોંચી અને જે દ્રશ્યો કેદ કર્યા તે ખુબ ગંભીર હતા. ગામમાં અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. જાણે કે આખું ગામ અને પંથક બેટમાં ફેરવાય ગયું હતું. ગામમાંથી હજૂ પણ પાણી વહી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે રસ્તાઓ પર ઢીચણ સમા પાણી ભર્યા છે. બીજી તરફ ખેતરોમાં આવી જ સ્થિતિ છે. દૂર-દૂર સુધી જમીનનો એક નાનકળો ટૂકળો પણ નથી જોવા મળી રહ્યો. જ્યાં સુધી અમારી નજર પહોંચી ત્યાં સુધી પાણી જ જોવા મળ્યું. સતત 15 દિવસોથી ખેતરોની આ સ્થિતિ છે. ક્યાંક ખેતરો ધોવાઈ ગયા છે. તો ક્યાંક પાણીમાં પાક નાશ પામ્યો છે.
એટલે કે પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ તંત્રનો એક પણ અધિકારી ભાળ લેવા માટે નથી પહોંચ્યો. ત્યારે આશા રાખીએ કે Vtvના આ અહેવાલ બાદ સરકાર સરખડી ગામ અને આસપાસના અન્ય ગામોની ભાળ લે અને અન્નદાતાને મુશ્કેલીમાંથી ઉગારે.