ગાંધીનગર: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે અને 12 ઓક્ટોબરે ભારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
મહત્વનુ છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 24 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ આવે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં લો-પ્રેશર સાથે અપર એર સર્ક્યુલેશન સર્જાતા વરસાદ આવે તેવી શક્યતા છે. સર્ક્યુલેશન સર્જાતા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે આજરોજ ફરી એકવાર રાજ્યના હવામાન ખાતા દ્વારા વરસાદ થવાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. આ વરસાદ અરબી સમુદ્રમાં આકાર પામી રહેલા વાવાઝોડાંને કારણે થવાની આગાહી કરવામાં આવી છે.
આ વાવાઝોડું આગામી દિવસોમાં ઓમાનના દરિયાકાંઠે ત્રાટકશે. તેની પ્રત્યાવર્તી અસર રૂપે સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.