દિલ્લી અને NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ કાળઝાળ ગરમીથી હાલ રાહત મળવાની કોઈ સંભાવના નથી. જો કે ગરમીની વચ્ચે કેટલાક રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ભારતના મેદાની પ્રદેશોમાં સુકી હવા ચાલી રહી છે. જેના કારણે આગામી 24 કલાક લૂની સ્થિતિ રહેશે.
હવામાન વિભાગે ગરમી બાબતે જાહેર કરી ચેતવણી
દેશના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી
આગામી 24 કલાક સુધી અનુભવાશે લૂ: હવામાન વિભાગ
ગઈકાલે ક્યાં કેટલું રહ્યું તાપમાન
દિલ્લીમાં ગઈકાલે પારો 47.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારે આજે પણ પારો ઉચકાય તેવી શક્યતા છે. બીજી તરફ રાજસ્થાનના ચુરુમાં પારો 50 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાકમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજસ્થાનના અન્ય જિલ્લામાં ભીષણ ગરમી પડી રહી છે. બિકાનેરમાં 48 ડિગ્રી, શ્રીગંગાનગરમાં 48.9 ડિગ્રી, કોટામાં 47.2 ડિગ્રી, જેસલમેરમાં 46.1 ડિગ્રી, બાડમેરમાં 45.9 ડિગ્રી, તો જયપુર, અજમેરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ હરિયાણા પંજાબમાં લૂનો કહેર યથાવત્ છે. પંજાબ અને હરિયાણાના મોટા ભાગના શહેરોમાં પારો 44 ડિગ્રીથી 46 ડિગ્રી સુધી ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો શુક્રવારથી કેટલાક રાજ્યોમાં ગરમીમાં થોડી રાહત મળી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે.
હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારતના મેદાની વિસ્તારો અને સાથે જ પૂર્વી ભારતના કેટલાક ભાગમાં શુષ્ક ઉત્તર પશ્ચિમી હવાઓના કારણે હાલની લૂની સ્થિતિ આવનારા 24 કલાક સુધી ચાલુ રહેશે.
ક્યાં સુધીમાં મળી શકે છે ગરમીથી રાહત
ગુરવારની સાંજથી હવામાન બદલાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર સાંજ કે રાતથી 30 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે. શનિવારે સામાન્ય વરસાદની સાથે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ભયંકર લૂનો સામનો કરી રહેલા ભારતના રાજ્યોને શુક્રવારથી રાહત મળી શકે છે.
28થી 31 મે સુધીમાં થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગે હરિયાણા અને પંજાબમાં 28થી 31 મે સુધીના કેટલાક સ્થાનો પર ગડગડાટ સાથે વરસાદી છાટા પડી શકે છે. 30-40 કિમી /કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. જ્યારે 29 અને 30 મેના રોજ બંને રાજ્યોમાં વીજળી સાથે 40થી 50 કિમીની ઝડપે હવા ફૂંકાઈ શકે છે.