રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે
કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી
અમદાવાદમાં પણ રહેશે યલો એલર્ટ
રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. દિવસ જાય તેમ ગરમીનો પારો વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ગરમી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજી યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતું.
રાજ્યમાં હિટવેવની આગાહી
મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં જ સરેરાશ તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચ્યુ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને જુનાગઢ સહિતના શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે યલો અલર્ટ પણ જાહેર કર્યું છે.ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે.ગરમીમાં વગર કામે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને સલાહ પણ આપી છે.
અમદાવાદમાં યલો એલર્ટ
આકરા તાપમાં કામ વિના ઘરની બહાર જવાનો ટાળજો કારણ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉનાળો આકરો રહેવાની આગાહી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો આસમાને પહોંચે તેવી શક્યતા છે. જો કે હાલમાં પણ અમદાવાદમાં ગરમી 42 ડિગ્રી તો નોંધાઇ જ રહી છે તો આગામી સમયમાં ગરમીમાં હજુ વધારો થઇ શકે છે. કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે જેની અસર રાજકોટ, પોરબંદર તથા ગીરસોમનાથમાં પણ જોવા મળશે. તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી.
અંગ દઝાડતી ગરમીને કારણે રોગચાળામાં વધારો
એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં આકરી ગરમી સાથે જ રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. તો બીજી તરફ હવામાનની હીટવેવની આગાહી પ્રમાણે પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી. અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસ વધે છે. ઝાડા-ઉલટીના 515 કેસ, કમળાના 134 કેસ નોંધાયા. જ્યારે ટાઇફોઇડના 138 જેટલા કેસો શહેરભરમાં નોંધાયા છે. કોલેરાના 2 કેસ નોંધાયા. રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ. સિકંજી, ઠંડા પીણા અને પાણીના પ્રદૂષણથી રોગચાળો વકર્યો.