દેશમાં હાલ અનેક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે જેને લઇને અનેક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે દિલ્હી સહિત સાત રાજ્યમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે દિલ્હી સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. દેશના અનેક રાજ્યમાં મધ્યથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.
વૈષ્ણોદેવી યાત્રાના ટ્રેક પર ભૂસ્ખલન થતાં યાત્રા રોકી દેવાઇ
જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનનો સીલસીલો યથાવત છે. જેને લઇને વૈષ્ણોદેવી યાત્રાના નવા ટ્રેક પર ભૂસ્ખલન થતાં હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. આ ટ્રેકથી વૈષ્ણોદેવી મંદિર જતા શ્રદ્ધાળુઓને પારંપરિક ટ્રેકથી યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે કટરા-સાંઝીછત સેક્ટરથી હેલિકોપ્ટર સેવા પણ હાલ પુરતી બંધ કરવામાં આવી છે.
બિહાર અને ઝારખંડમાં પણ વરસાદનું અનુમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અને દક્ષિણ-પશ્ચિમી અરબ સાગર તરફથી 40થી 50 કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. જેને લઇને બિહાર અને ઝારકંડમાં પણ વરસાદની શક્યતા જોવા મળે છે. જ્યારે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં આગામી બે થી ત્રણ દિવસ કેટલાંક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
કેટલાંક રાજ્યમાં પૂરની પરિસ્થિતિ...
દેશના કેટલાંક રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પરિસ્થિત વધુ વણસી રહી છે. જેમાં આસામ, બિહાર, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બિહાર અને આસામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે લાખો લોકોના જીવન સામે સંકટ ઉભુ થયું છે. બંને રાજ્યમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.