હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સોમવારથી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, હાલમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રીય નથી. ત્યાર સમુદ્રમાંથી આવતા ભેજના કારણે છૂટા છવાયા વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ઠેર-ઠેર થઇ શકે મેઘ મહેર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 15થી 22 જુલાઇ દરમિયાન રાજ્યમાં વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 20 જુલાઇ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સર્જાઇ શકે છે. અને 26 જુલાઇ સુધી રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.
અલનીનોની અસર સમાપ્ત
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની લઈને રાહતના સમાચાર આપ્યા છે. અલનીનોની અસર સમાપ્ત થઈ છે, ત્યારે હવે ચોમાસુ સક્રિય થશે. અમેરિકાની હવામાન એજન્સીએ અનુમાન લગાવ્યુ છે કે, આ મહિને ચોમાસુ પહેલાથી સારૂ રહેવાની સંભાવના છે. રાજ્યમાં ચોમાસુ સામાન્યથી 22 ટકા વધારે રહેશે. જ્યારે પશ્ચિમ ભારતમાં વરસાદને લઈને રાહ જોવી પડશે. દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદની પણ આગાહી કરાઈ છે.
અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો
રાજ્યમાં વરસાદે વિરામ લેતા ગરમીના પારામાં વધારો થયો છે. 4 વર્ષ બાદ જુલાઈ મહિનામાં સૌથી વધુ તાપમાન નોઁધાયો છે. અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. ભેજ અને વાદળનું પ્રમાણ ઘટતા કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની સીઝન રાજ્યના 251માંથી માત્ર 96 તાલુકામાં જ 2થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.