હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું કે, 'આગામી સપ્તાહમાં બંગાળની ખાડીમાં 'અસની' વાવાઝોડું આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.'
આગામી સપ્તાહે બંગાળની ખાડીમાં આવી શકે છે 'અસની' વાવાઝોડું
માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ
90 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
આગામી સપ્તાહે બંગાળની ખાડીમાં 'અસની' તોફાન આવી શકે છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરની ઉપર બનેલો એક નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ તોફાન બાદમાં બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે. IMD અનુસાર, વર્તમાન લો પ્રેશર એરિયા (LPA) મંગળવારે રચાયું હતું અને તે શનિવાર સુધી પૂર્વ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. ત્યાર બાદ તે આંદામાન-નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે.
હવામાન વિભાગે કહ્યું કે, જે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચનાં રોજ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ 'અસની' રહેશે. નિયમો અનુસાર, આ ચક્રવાતી તોફાનને શ્રીલંકાએ 'અસની' નામ આપ્યું છે.
માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ અપાઇ
હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં અસર દર્શાવ્યા બાદ આ ચક્રવાતી તોફાન 23 માર્ચે બાંગ્લાદેશ અને મ્યાનમારના ઉત્તરીય છેડે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં દરિયાઈ ગતિવિધિ વધુ તીવ્ર થવાની સંભાવના છે. આથી, ચેતવણી જારી કરતી વખતે હવામાન વિભાગે માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ આગામી ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
90 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
હવામાન વિભાગે શનિવાર અને મંગળવારની વચ્ચે આંદામાન સમુદ્રથી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી ન જવાની સલાહ આપી છે. રવિવારે આંદામાન-નિકોબાર ટાપુઓમાં જોરદાર પવન ફુંકાવાની શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આ દિવસે પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે કે જે બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે, હવામાન વિભાગે એ નથી જણાવ્યું કે, જો ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાય તો તે કેટલું જોખમી બની શકે.