આગામી ૨૪ કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનનાં કેટલાંક સ્થળોએ ધૂળની તોફાની આંધી અને અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, આંદમાન નિકોબાર દ્વીપસમૂહ, કર્ણાટકના કિનારાના વિસ્તારો અને આંધ્રપ્રદેશમાં આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પૂર્વોત્તરના રાજ્યો સહિત કર્ણાટકના અંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે. રાજધાની દિલ્હીમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો.
આગામી ૨૪ કલાક દરમિયાન હિમાલય નજીક આવેલાં રાજ્યો પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ લોકોને પરેશાન કરી દીધા છે. રાજધાની લખનૌ અને આસપાસના જિલ્લામાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યો હતો અને વીજળી પડવાથી ૧૩ લોકોનાં મોત થયાં હતાં.
ઉત્તરીય રાજ્યો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો ઘેરાયાં છે અને આગામી ૨૪ થી ૪૮ કલાક આ રાજ્યો માટે મહત્વના સાબિત થશે. અરબ સાગરના કિનારાના પ્રદેશોમાં અતિભારે વરસાદ અને તોફાની પવન શરૂ થઈ ગયો છે, જેનાથી દરિયામાં ઊંચા મોજા પણ ઊછળી રહ્યાં છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક સુધી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તોફાની પવન સાથે ધૂળની આંધી ભારે તબાહી નોતરી શકે તેમ હોવાથી તંત્રને પણ સાવચેત કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને રજાઓ રદ્દ કરીને ફરજ પર હાજર રહેવા અને લોકોના સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી : નૈનિતાલમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. નૈનિતાલમાં ધોધમાર વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે અને રસ્તાઓ પણ બંધ શઈ ગયાં છે.
હવામાન વિભાગે ઉધમસિંહનગર, નૈનિતાલ અને ચંપાવત જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે દહેરાદૂન, ટિહરી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પ્રવાસીઓને પણ વરસાદ દરમિયાન સલામત સ્થળે રહેવા અને ઉંચી પહાડીઓ પર ન જવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આજે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા છે. યમુનોત્રી હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ટ્રાફિક જામ દૂર કરવા ટ્રાફિક પોલીસ સતત મથી રહી છે.