ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાંની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન
ભાજપ પર જગદીશ ઠાકોરનો આક્ષેપ
AAPને મોકો આપો હું તમારો ભાઈ બનીને રહીશ: કેજરીવાલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતો થતાંની સાથે જ હવે નેતાઑની ચૂંટણીલક્ષી કામગીરી ગતિ પકડશે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ગુજરાતમાં જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. તેવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, જગદીશ ઠાકોર અને આપ નેતા અરવિંદ કેજરીવાલના નિવેદન સામે આવ્યા છે. જેમાં તમામે પોતપોતાની સરકાર બનતી હોવાની વાતનો સૂર પુરાવ્યો છે.
ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે બે દાયકામાં ગુજરાતે વિશ્વસ્તરે અનોખી છાપ ઊભી કરી છે, ભાજપ સરકારના સુશાસનના કરાણે આ શક્ય બન્યું છે. હવે ગુજરાતના વિકાસને વેગ આપવા માટે ફરી એકવાર ભાજપ તૈયાર છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસયાત્રાને સૌ કોઇએ જોઇ છે. આ વિકાસયાત્રાના સહભાગી બની સૌએ ભાજપને ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે. આ વખતે ફરી એકવાર સૌનાં આશીર્વાદ મળશે. તેવો વિશ્વાસ પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતનાં સર્વ નાગરિકો માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં કાર્યશીલ ભાજપાની વિકાસનીતિ અને આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવાની દિર્ઘદ્રષ્ટિને ફરીવાર સ્નેહ અને વિશ્વાસ સાથે વધાવી ગુજરાતમાં કમળ ખીલવશે એવો મને વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
પાટણની તમામ ચારેય સીટો કોંગ્રેસ જીતશેઃ જગદીશ ઠાકોર
વધુમાં પાટણમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણીને લઇને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જેમા ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવા અને જેલમાં મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં જગદીશ ઠાકોરએ જણાવ્યું કે કોંગ્રેસના વફાદાર ધારાસભ્યો રિપીટ થશે.આ દરમિયાન જગદીશ ઠાકોરે પાટણની ચારેય બેઠક જીતવાનો પણ દાવો કર્યો હતો.
હું લોકોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ :કેજરીવાલ
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને aapના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે હું લોકોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. વધુમાં રાજ્યમાં લોકોને મફતમાં વીજળી આપીશ અને રાજ્યમાં સારવાર માટે શ્રેષ્ઠ હોસ્પિટલ બનાવીશ. તથા ગુજરાતમાં રોજગારીનું સર્જન કરવાનો પણ કેજરીવાલએ દાવો કર્યો છે. આ વખતે એક મોકો AAPને આપો હું તમારો ભાઈ બનીને રહીશ. તેમ પણ કેજરીવાલે જણાવ્યું હતું. ઉપરાંત કેજરીવાલે ટ્વિટ કરીને એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા આ વખતે મોટા પરિવર્તનના મૂડમાં છે. જેને લઇને અમે જીતીશું. તેમ જણાવ્યું હતું.