રસીકરણ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે માર્ચ મહિનાથી 50 વર્ષથી વધુની વયજૂથ વાળા લોકોને વેક્સિન લાગવાનું શરૂ થઈ જશે.
કોવિડ રસીકરણ મામલે મોટી જાહેરાત
આરોગ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન
50 વર્ષથી વધુના લોકો માટે મહત્વની ઘોષણા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરેલી મહત્વની જાહેરાત પ્રમાણે માર્ચથી દેશમાં 50થી વધુ ઉંમર ધરાવતા વયજૂથના નાગરિકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે, નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે તેમના તરફથી તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ 1 માર્ચ સુધીમાં હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કસનું રસીકરણ પૂરું કરવાનું સુનિશ્ચિત કરે.
ભારતમાં દુનિયાના તમામ દેશો કરતાં વધુ ઝડપે થઈ રહ્યું છે રસીકરણ
ભારત હાલમાં રસીકરણ મામલે દુનિયાના અન્ય તમામ દેશો કરતાં ખૂબ જ સ્પીડથી આગળ વધી રહ્યું છે, અત્યાર સુધીના આંકડા પ્રમાણે ભારતે યુએસ, યુકે અને અન્ય દેશો કરતાં પણ ઓછા સમયમાં લગભગ 82 લાખ જેટલા લોકોને રસી આપી દીધી છે, આ જ શ્રેણીમાં જો આ જ ગતિએ કામ આગળ ચાલતું રહ્યું, તો ભારત જલ્દીથી જ એક કરોડના રસીકરણના માર્કને પાર કરી લેશે.
મહત્વનું છે કે 16મી જાન્યુઆરીએ ભારતમાં શરૂ થયેલું કોરોના રસીકરણ અભિયાન દુનિયાનું સાઉથી મોટું રસીકરણ અભિયાન છે, જેમાં ભારતમાં જ વિકસિત બે કોવિડ રસી કોવાકસિન અને કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી હતી, જેના પછી ભારત સરકારે વેક્સિન મૈત્રી ડિપ્લોમસીનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું જેમાં આ રસીની અમુક માત્રા ભારત સરકાર પોતે તેની ઉત્પાદક કંપનીઓ પાસેથી ખરીદીને આપણાં પાડોશી દેશો અને અન્ય આફ્રિકી દેશો અને મિત્ર દેશોને પહોંચાડી રહી છે.
ચીનનું પ્રભુત્વ રોકવામાં મહત્વની પુરવાર થઈ શકે છે આ પહેલ
ભારતની પહેલને દુનિયાના ઘણા દેશોએ વધાવી લીધી છે, જો કે ભારતની આ પહેલને પાડોશી દેશ ચીનનું પ્રભુત્વ વધતાં રોકવાની એક કૂટનીતિક ચાલ તરીકે પણ જોવામાં આવી રહી છે, જેનો પશ્ચિમી અને સ્વયં ચીની મીડિયામાં પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. જો કે માત્ર એવું નથી કે ભારત ગરીબ, મધ્યમ અને ઓછી આવક વાળા દેશોને જ આ વેક્સિન પૂરી પાડી રહ્યું છે, પરંતુ કેનેડા જેવા વિકસિત દેશે પણ ભારત પાસેથી રસી માંગી છે.