ખેડૂતોના આંદોલનની વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગૃહમંત્રી અમિત શાહ સાથે શનિવારે મુલાકાત કરી અને આ મુલાકાતા બાદ તેમણે નવા કાયદાને લઈને મોટી જાહેરાત કરી નાખી.
કાયદો બનાવવાનું એલાન
મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે ખેડૂતોના આંદોલન પર ચર્ચા કરવામાં આવી છે અને હવેથી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી, હવેથી તેને સંબંધિત કાયદો લાવવામાં આવશે.
We discussed the farmers' protest among other issues. We will be bringing a law for recovery of damages to public property from protesters: Haryana CM ML Khattar on his meeting Union Home Minister Amit Shah today pic.twitter.com/6sdpxSMvn8
નોંધનીય છે કે આ પહેલા 12મી જાન્યુઆરીએ મનોહરલાલ ખટ્ટરે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને સાથે ડેપ્યુટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ તે મીટીંગમાં હાજર રહ્યા હતા. બંને નેતાઓએ તે સમયે દાવો કર્યો હતો કે હરિયાણાની સરકારને કોઈ ખતરો નથી.
હરિયાણામાં છે ગઠબંધન સરકાર
નોંધનીય છે કે હરિયાણામાં ખેડૂત આંદોલનના કારણે રાજકારણ ખૂબ ગરમાયું છે અને આંદોલનની સૌથી વધારે અસર પંજાબ હરિયાણામાં જ જોવા મળી રહી છે ત્યારે હરિયાણામાં ચાલી રહેલી ગઠબંધનની સરકાર પર વારંવાર સંકટના વાદળો છે તેવા દાવા કરવામાં આવે છે જેના કારણે રાજ્યના મોટા મોટા મંત્રીઑ અને નેતા દિલ્હીમાં અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરતાં નજરે પડે છે.
ખેડૂતો પોતાના આંદોલન પર અડગ
બીજી તરફ દિલ્હીની આસપાસની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો 75 દિવસથી પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગ છે કે એમએસપી માટે જુદો કાયદો પણ બનાવવામાં આવે. ગતિરોધને ઓછો કરવા માટે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘણીવાર બેઠક કરવામાં આવી પરંતુ કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી ત્યારે રાકેશ ટિકેત જેવા ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે કાયદા ન રદ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.