ઓનલાઇન દવામાં ભેળસેળની રાવને લઇને ઓનલાઈન દવાના વેંચાણ પર સ્ટે હોવા છતાં વેચાણ થઇ રહ્યું છે આ મામલે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનને આંદોલનની તૈયારી દર્શાવી છે.
કેમિસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ જે.એસ શિંદેનુ નિવેદન
ઓનલાઈન દવાઓમાં મોટી ભેળસેળ કરવામાં આવે છે
અનેકવાર સરકારોને પણ રજુઆત કરવામાં આવી છે
દેશમાં ઓનલાઇન દવાનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે ત્યારે આ ઓનલાઇન દવામાં ભેળસેળ કરવામાં આવતી હોવાના આક્ષેપને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જે.એલ.શિંદેએ જ ઓનલાઈન દવાઓમાં ભેળસેળ થતી હોવાના ધગધગતા આરોપો લગાવ્યા છે સાથે સાથે તેમણે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવાની પણ માંગ ઉઠાવી છે. જો બંધ નહિ કરાઇ તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
ઓનલાઈન દવાઓમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ
પ્રમુખ જે.એલ.શિંદેએ જણાવ્યુ કે ઓનલાઈન વેચાણમાં મસમોટા ડિસ્કાઉન્ટની લાલચના નામે યુવા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઓનલાઈનનું એક દૂષણ એ પણ છે કે, આવા પ્લેટફોર્મ પર ગેરકાયદે દવાનું પણ અમુક અંશે વેચાણ થઇ રહ્યું છે. ગ્રાહકો રૂપિયા ખર્ચતા હોવાથી તેને ગુણવત્તાવાળી દવા મળવી જોઇ એ તમામ ગ્રાહકોનો હક્ક છે પરંતુ ઓનલાઈનમાં આ શક્ય બનતું નથી. ઘણી જગ્યાએ ઓનલાઈન ખરીદીમાં ભેળસેળયુક્ત દવા આવી હોવાના દાખલા છે. આથી જે.એલ.શિંદેએ ગ્રાહકોને અનુરોધ કરતા જણાવ્યુ કે ગ્રાહકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે લોકોએ ઓનલાઇન દવા ખરીદવાનું ટાળવું જોઈએ.
ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવા કરાઈ માગ: જે.એલ.શિંદે
ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જે.એલ.શિંદેએ વધુમાં ઉમેર્યું કે દવાઓમાં ભેળસેળ થવા અંગે સરકારમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી આમ છતાં દવાઓમાં ભેળસેળ થવાનું અટકતું નથી. વધુમાં તેમણે કહ્યું કે, ઓનલાઈન દવાના વેંચાણમાં કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવી છે. તો પણ કોર્ટના આદેશને અવગણીને દેશમાં દવાઓનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જેને નાબૂદ કરવામાં અમે ગલીથી લઈને દિલ્લી સુધી આંદોલન કરશું તેમ અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.