ઝેલેન્સકીએ બિડેનને તેમના સમર્થન માટે આભાર માન્યો, બેઠક બાદ બંને દેશો તરફથી નિવેદનો પણ જાહેર કરવામાં આવ્યા
રશિયા સાથે યુદ્ધની શરૂઆતથી અમેરિકા સતત યુક્રેનના સમર્થનમાં
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકા પહોંચી જો બિડેન સાથે મુલાકાત કરી
બંને દેશો તરફથી નિવેદનો પણ જાહેર કરવામાં આવ્યા
રશિયા સાથે યુદ્ધની શરૂઆતથી અમેરિકા સતત યુક્રેનના સમર્થનમાં ઊભું રહ્યું છે. આ માટે યુએસ તરફથી યુક્રેનને ઘણી વખત મદદ આપવામાં આવી છે. ત્યારબાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકા પહોંચી ગયા છે. જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઝેલેન્સકીએ બિડેનને તેમના સમર્થન માટે આભાર માન્યો. બેઠક બાદ બંને દેશો તરફથી નિવેદનો પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું કે, તે ક્યારેય આત્મસમર્પણ નહીં કરે.
અમેરિકાએ ફરી એકવાર રશિયાને કડક સંદેશ આપ્યો અને ઝેલેન્સકીનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું અને કહ્યું કે. યુક્રેન ક્યારેય એકલું નહીં રહે. એટલું જ નહીં બિડેને યુક્રેનને $1.85 બિલિયનની સહાયની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન અમેરિકન સાંસદોએ ઉભા થઈને ઝેલેન્સકીનું સ્વાગત કર્યું અને તેમના માટે ખૂબ તાળીઓ પણ વગાડી.
ઝેલેન્સકીને મળ્યા પછી જો બિડેને અમેરિકા વતી પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમે બરાબર એક જ દ્રષ્ટિકોણ શેર કરીએ છીએ અને અમે બંને ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ સમાપ્ત થાય. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો યુક્રેનને યુદ્ધના મેદાનમાં સફળ થવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયનો સાથે વાત કરવા તૈયાર હોય, ત્યારે તેઓ પણ સફળ થઈ શકે કારણ કે તેઓ યુદ્ધના મેદાનમાં જીત્યા હશે.
ઝેલેન્સકીએ શું કહ્યું ?
અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા બાદ ઝેલેન્સકીએ યુક્રેન વતી એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, અમારી વાતચીતનો ફોકસ યુક્રેનને વધુ મજબૂત કરવાનો હતો. હું ઘરે જઈ રહ્યો છું તેથી મારી પાસે એક સારા સમાચાર છે, કારણ કે અમેરિકા તરફથી યુક્રેનને એક પેકેજ આપવામાં આવ્યું છે. તેનાથી યુક્રેનની એરસ્પેસ સુરક્ષિત કરવામાં મદદ મળશે. આ પેકેજ પછી આપણે આપણા ઉર્જા ક્ષેત્ર, આપણા લોકો અને આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આતંકવાદી દેશના હુમલાને રોકી શકીશું. જોકે આ દરમિયાન ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, યુક્રેનને આપવામાં આવેલી મદદ દાન નથી, પરંતુ તે એક રોકાણ છે.
ઝેલેન્સકીએ પુતિન પર શું કહ્યું ?
આ દરમિયાન જ્યારે ઝેલેન્સકીને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે. અમારે તેમને કોઈ સંદેશ આપવાની જરૂર નથી. હું માનું છું કે, વિશ્વ પ્રત્યેની તેમની દ્રષ્ટિનો કોઈ અંત નથી. તેઓએ વિશ્વના લોકોનું ધ્યાન તેમની તરફ દોરવાની જરૂર છે. કારણ કે, તેઓ સંસ્કારી સમાજનો ભાગ નથી. આ દરમિયાન ઝેલેન્સકીએ એવો પણ દાવો કર્યો હતો કે, રશિયાએ યુક્રેન પર પોતાનો સંપૂર્ણ અંકુશ ગુમાવી દીધો છે અને તેને મોટો આંચકો લાગ્યો છે.