આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં વર્કશોપ યોજાયો હતો.જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.
વડાપ્રધાનનો સંકલ્પ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે
આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરીને સમગ્ર દેશના ખેડૂતોને નવી પ્રેણા પુરી પાડી છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે. આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પુર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો. આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે.
રાસાયણિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો
રાસાયણિક કૃષિના કારણે આજે જળ-જમીન, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. આપણે ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી દુષિત કરી છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો રહ્યો છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ, જમીન બંજર બની ગઇ. રાસાયણિક કૃષિ અને જંતુનાશકો થી પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ, જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણે કિસાનોની આવક સતત ઘટતી રહી છે.
એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં થઈ શકે છે પ્રાકૃતિક કૃષિ
આજે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી સમયની માંગ છે. તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે, જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે.
બંજર બનતી ધરતીને ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ : રાજ્યપાલ
તેમણે જણાવ્યું હતું કે, એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે, ગાયનું ગૌ મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, બેસન, ગોળ માટીના મિશ્રણથી બનતા જીવામૃત, ઘનજીવામૃત પ્રાકૃતિક ખાતર અને કલ્ચર તરીકે કાર્ય કરે છે, અને જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. અને ધરતીના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે. જેથી જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલએ બંજર બની રહેલી ધરતીને ફળદ્રુપ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિને આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રાકૃતિક કૃષિના કારણે જમીનમાં અળસિયા જેવા મિત્રજીવોની વૃધ્ધિ થાય છે.તેમ જણાવ્યું હતું,. આ અંતમાં પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવી અપીલ પણ ધારાસભ્ય બાબુ બોખરિયાએ કરી હતી.