જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘૂસતા ફુલગામા ગામના લોકોની દયનીય હાલત બની છે. વ્યવસ્થાના અભાવે સવારથી લોકોએ અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી.
વરસાદી આફત વચ્ચે VTV ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
જૂનાગઢના ઘેડ વિસ્તાર પાણીમાં ડૂબ્યો
ગામમાં લોકોને રસોઇ બનાવાય તેવી પણ વ્યવસ્થા નહી
જૂનાગઢ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ત્રાટકી રહેલા વરસાદને લઈને સ્થાનિકોમાં ઉપાધિના ઘોડાપૂર ઉમટ્યા છે. આ અવકાશી આફતમાં ઘેડ ઘમરોળાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં પાણી... જ પાણી... હોય તેવી સ્થિતિ જન્મી છે. તેવામાં માંગરોળ તાલુકાના ફુલગામા ખાતે ઘરવખરી સાચવવાની વાત તો દૂર રહી પણ લોકો પાસે રસોઈ બનાવવાની પણ વ્યવસ્થા ન હોવાથી લોકો મદદ માટે કાકલુદી કરી રહ્યા છે ત્યારે આ અવકાશી અફતને પગલે VTV ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું.
આખા ફુલગામા ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા
જૂનાગઢના ઘેડ વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે જેમાં માંગરોળ તાલુકાના ફુલગામા ગામમાં ઓઝત નદીના પાણી ઘૂસતા હજારો એકર જમીન ડુબમાં ગઈ હોય તેવી હાલત ઊભી થઇ છે. આ આફતને લઈને જન જીવનને પ્રતિકૂળ અસર થવા પામી છે. લોકોએ જ્યાં છે ત્યાં જ ફસાઇ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં નાના બાળકોથી માંડી મોટી ઉમરના તમામ લોકો પાણી ઉલેચવા જોડાયા હતા. જૂનાગઢ અને ગીર પંથકમાં વરસાદને લઈને ફુલગામામાં આખા ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. જે પાણી ઘરમાં ઘૂસતા લોકો ભૂખ્યા-તરસ્યા મદદ માટે પોકાર કરી રહ્યા છે. બાળકો પણ અવકાશી આફત વચ્ચે ભૂખ સામે ઝઝૂમી રહ્યા છે આવી કઠણાઇ ભરી હાલતમાં પણ કોઇ સંભાળવા વાળું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ઓઝતની આફતને પગલે ઘેડ પંથકના લોકોને અધોગતિનો કોઇ પર નથી
VTV ન્યૂઝ સાથેની વાતચિતમાં સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ત્રણ વાગ્યાના અરસામાં પાણી ઘરમાં ઘૂસવાની શરૂઆત થઇ હતી. ઓઝતની આફતે તહસનહસ કરી નાખતા રસાડાનો ચૂલો જ સળગ્યો નથી. આથી રાજ્યમંત્રી દેવા માલમના મત વિસ્તાર એવા ઘેડ પંથકના લોકોને અધોગતિનો કોઇ પર નથી. આખુ ગામ જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવી હાલત હોવા છતાં તંત્ર અત્યાર સુધી અસરગ્રસ્તોની વહારે આવ્યું નથી. રેસ્ક્યૂ, મદદ તો દૂરની વાત રહી પરંતુ ભૂખે ટળવળતા લોકોને ફૂડ પકેટ પહોંચાડવાની પણ તંત્રએ તસ્દી ન લેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવાઓના જણાવ્યા અનુસાર નેતાઓ મત માંગવા આવે છે.
દર વર્ષે સમસ્યા છતા જૂના જવાબની કેસેટ વગાડતું તંત્ર
દર વર્ષે આ વિસ્તારના લોકોને આફતનો સામનો કરવો પડે છે પરતું વિસ્તાર રકાબી જેવો હોવાને પગલે આ સ્થિતિ ઊભી થતી હોવાના જુના જવાબની કેસેટ વગાડી તંત્ર જવાબદારીમાંથી છટકી જતું હોવાનું લોકો જણાવી રહ્યા છે.
ઇન્દ્રાણા ગામે ઓઝત નદીના પાણી ઘૂસ્યા
આ ઉપરાત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઇન્દ્રાણા ગામે પણ અનરાધાર વરસાદને લઈને ચારે કોર પાણી-પાણી જેવી સ્થિતિ છે. ગામના ખેતરોમાં ઓઝત નદીના પાણી ઘૂસતા ખેતરોનું અને પાકનું ધોવાણ થયું છે. મગફળી અને કપાસના ખેતરો પાણીમાં જળમગ્ન થયા છે. જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.