બોટાદમાં વ્યાજખોરના ત્રાસથી એક મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. ત્યારબાદ પોલીસ અને વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી આપતા હતા ધમકી
વ્યાજખોરોએ શરીર સબંધ બાંધવા પણ દબાણ કર્યાના આરોપથી ખળભળાટ
રાજ્યમાં વ્યાજખોરના ત્રાસ સામે સરકારની ઝૂંબેશને લઈને એક પછી એક શહેરમાંથી ફરિયાદો સામે આવી રહી છે તેવામાં બોટાદમાં વ્યાજખોરના ત્રાસથી એક મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે વ્યાજખોર પઠાણી ઉઘરાણી અને ધમકી આપતા આ પગલુ ભર્યુ હોવાના આરોપો લાગી રહ્યા છે. હાલ તો ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોચી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે બોટાદમાં એક મહિલાએ ફિનાઈલ પી લેતા ભાગદોડ મચી જવા પામી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. જેના પગલે પ્રભાબેન પરમાર નામના મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે પ્રભાબેનના પતિએ છ લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી કરી વ્યાજખોરો ધમકી આપતા હતા. વધુમાં પીડીતાએ ધગધગતા આરોપ લગાવતા કહ્યું આરોપીઓ શરીર સબંધ બાંધવા પણ દબાણ કરતા હતા. ત્યારબાદ મહિલાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે પોલીસ દ્વારા ફરિયાદ પણ ન લેવાઇ હોવાના આરોપ લાગી રહ્યા છે.
ભોગબનનાર મહિલાની પુત્રીએ લગાવ્યો પોલીસ પર આરોપ
વધુમા ભોગ બનનાર મહિલાના પુત્રીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમા આરોપ લગાવતા પુત્રીએ જણાવ્યું હતુ કે છેલ્લા દોઢ મહિનાથી દંપતી પોલીસને આ મામલે રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આજદિન સુધી પોલીસ ફરિયાદ લેવામાં આવી ન હતી. આમ અંતે પ્રભાબેન દ્વારા ફિનાઈલ પી ને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વ્યાજખોરો સામે ચાલી રહી છે ઝૂંબેશ
મહત્વનું છે કે વ્યાજખોરો દ્વારા તમામ પ્રકારની હદ વટાવી મનફાવે તેમ વર્તન અને આડેધડ ઊંચા વ્યાજે રકમ ઉઘરાવતા હોવાથી આ દુષણને ડામવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્રારા વ્યાજખોરો સામે ઝુંબેશને પગલે લોક દરબાર યોજવામાં આવે છે. આ ઉપરાંત જાગૃતિ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. જેમાં લોકો તેમની સમસ્યા અંગે પોલીસ મિત્રને વાત કરી શકે છે. અને આ લોક દરબારમાં ઢગલાબંધ ફરિયાદો સામે આવી રહી છે.
વ્યાજના દુષણ મામલે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે...
ઉલ્લેખનિય છે કે રાજ્યમાંથી વ્યાજખોરીના દુષણને નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરાયા બાદ પીડિતો ફરિયાદ અર્થે આગળ આવી રહ્યા છે. જેને પગલે પોલીસ દ્વારા પણ આકરી કાર્યવાહી થઈ રહી છે ત્યારે વ્યાજખોરો સામે અભિયાનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે વ્યાજખોરો અને વ્યાજનું રેકેટ ચલાવનારાએ ગુજરાત છોડવુ પડશે. તેમણે હુંકાર કરતા કહ્યું કે વ્યાજખોરોને ગુજરાત બહાર ભાગી જવા સિવાય હવે કોઈ રસ્તો નથી. કારણ કે વ્યાજનું દુષણ ગુજરાતમાં કોઈ કાળે ચલાવી લેવાશે નહિ! જેને દૂર કરવા અવિરત અભિયાન ચલાવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમ અંતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું.