રોડ અને રસ્તાઓ માનવ જિંદગીઓને સુવિધાઓ સુધી પહોંચાડે પણ છે અને આ રસ્તાઓ ઘર સુધી સગવડો પણ પહોચાડે છે. નાગરિકોની વસતિ સુધી રસ્તાઓની સુવિધા પહોંચાડવાનું કામ સરકારનું છે.
પરંતુ જ્યારે સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે લોકોએ જાતે જ સમસ્યાના નિરાકણ માટે મારગ કાઢવો પડે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના નાગરિકોએ જ્યારે રસ્તો બનાવવા માટે જાતે જ ઓજારો ઉપાડયા તો તંત્રની આંખ ઊઘડી. જો કે તે પહેલા તો ગ્રામજનોએ અડધો રસ્તો તો બનાવી નાખ્યો હતો. જોઈએ આ અહેવાલ.
હાથમાં ત્રિકમ પાવડા લઈને પહાડ ચીરતા આ નાગરિકો છોટા ઉદેપુરના તુરખેડા ગામના છે. કવાંટ તાલુકાના આ આદિવાસી નાગરિકોએ રસ્તાની માગણી માટે સ્થાનિક સરકારી તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી.
પરંતુ તંત્રએ તેમની માગણી ધ્યાન પર ન લીધી. તુરખેડા ગામના આ નાગરિકોને હવે પાકો ભરોસો બેસી ગયો હતો કે સરકારી ભરોસે બેસી રહેવાથી રસ્તો બનવાનો નથી. આથી ગામના ખુદ્દાર નાગરિકોએ બાવડાના બળે જાતે જ રસ્તો બનાવવાનું અભિયાન ઉપાડી લીધું.
જે કામ સરકારે કરવાનું હતું કે કામ ધોમધખતા તાપમાં ગામના સ્ત્રી-પુરુષો અને બાળકોએ શરૂ કર્યું.કેમકે,પહાડોની વિષમ ભૂમિ પર રહેતા આ નાગરિકોને રસ્તો બનાવ્યા સિવાય છૂટકો ન હતો. કેમ કે, રસ્તાની અસુવિધાના કારણે આ ગામના અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા તેમની યાદોમાંથી ભૂંસાયા ન હતા.
રસ્તા વિના રોજબરોજની જિંદગીમાં અનુભવાતી હાલાકી તેમને કોરીખાતી હતી. આખરે ગામના મહેનતકશ નાગરિકોએ રસ્તા માટે ઓજારો ઉપાડી લીધા. સ્ત્રી-પુરુષોએ પહાડ ચીરવાનું ભગીરથ કામ ઉપાડયું તો બાળકોએ વાલીઓને પાણી પીવડાવવાની સેવા શરૂ રાખી. આખરે જોત જોતામાં આ ખુદ્દાર નાગરિકોએ કેટલાક કિલોમીટર સુધી પહાડ તોડીને રસ્તો સમથળ કરી દીધો. .
ઉલ્લેખનીય છે કે, પહાડોની ગિરિમાળાઓ વચ્ચે છૂટાછવાયા મકાનો ધરાવતુ આ તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે ડુંગરોની વચ્ચે આવેલું ગામ છે. ગામની વસ્તી બે હજારની છે, પણ આઝાદીના 70 વર્ષ પછી પણ ગામમાં પ્રવેશવાનો પાકો તો ઠીક કાચો રસ્તો નથી.
જેના ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ બરોજની જિંદગીમાં સગવડો મેળવવામાં મુશ્કેલીનો સામનો એ અહીંના નાગરિકોના જીવનનો એક ભાગ બની ગયો છે.
પરંતુ ખરી મુશ્કેલી બીમારી અને પ્રસૂતિના કિસ્સાઓમાં વેઠવી પડે છે. .રસ્તાના અભાવે ઘરના દ્વાર સુધી એમ્બ્યુલન્સ આવી શકતી નથી. .જો જીવ બચાવવો હોય તો ચાર કિલોમીટર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડે છે. આ જીવ સટોસટની હાલાકીએ ગામના લોકોને જાતે જ મારગ બનાવવા મજબૂર કરી દીધા છે. .જો કે ગ્રામજનોએ રસ્તો બનાવવાનું અભિયાન ઉપાડી લીધું તો ઓજારોના રણકારથી સરકારીતંત્રના કાન ખૂલી ગયા અને તાબડતોબ કવાટ તાલુકા વિકાસ અધિકારીએ આ ગામની મુલાકાત લીધી.
તેમણે જાતે જ ગ્રામજનોની જહેમત, અને તેમની હાલાકીનો અનુભવ કર્યો. એટલે ગામની મુલાકાત દરમિયાન જ તેમણે ગ્રામજનોને પાકો અને સુવિધાસભર રસ્તો બનાવી આપવાનું વચન આપ્યું. .
તુરખેડા ગામના નાગરિકોની અરજી તો તંત્રને આંખે ન ચડી પરંતુ તેમના ઓજારોનો ખણખણાટે તંત્રના કાન સરવા કરી દીધા છે. ગરીબ આદિવાસીઓની આટલી પહેલ બાદ પણ સાધનસંપન્ન સરકારી તંત્ર હવે વચન મુજબ રસ્તો ન બનાવી આપે તો તંત્રની ફજેતી થવાની અને સરકારની આબરૂનું ધોવાણ થવાનું પાકું છે. .આશા રાખીએ કે સરકાર ખરા અર્થમાં આદિવાસીઓને કલ્યાણ રાજ્યના દર્શન કરાવે.