હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે જનજીવન ઘણું પ્રભાવિત જોવા મળ્યું છે. શનિવારે રાતે થયેલ ભારે વરસાદથી બાલાપુર તળાવનો બાંધ તૂટી ગયો, જેના કારણે શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલું જોવા મળ્યું. કેટલાંક વિસ્તારોમાં તો પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જવાથી લોકો ઘરની અગાશી પર રહેવા મજબૂર બન્યાં. તો બીજી તરફ રોડ પર પાણી ફરી વળ્યાં, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલું જોવા મળ્યું.
તેલંગાણામાં ગત અઠવાડિયે ભારે વરસાદના વરસ્યો હતો. જેના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 50 લોકોના મૃત્યું થયા છે અને અંદાજે 6000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાનનું અનુમાન છે. આ વચ્ચે NDRFની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક વિસ્તારોમાં જ્યાં હજુ પાણી ભરાઇ ગયા છે, ત્યાં JCB મશીન પર બેસીને મહિલાઓ અને બાળકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવી રહ્યાં છે.
ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ અપીલકરી છે કે હૈદરાબાદના બધા નાગિરકોને અનુરોધ છે કે તેઓ ઘરની અંદર રહે અને બહાર ના જાય, કારણ કે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને સ્થિતિ પર હાલ નજર રાખવામાં આવી રહી છે.
ઓલ્ડ કરનૂલ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને એરપોર્ટ અને બેંગલુરુથી આવનારા લોકોને આઉટર રિંગ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હૈદરાબાદના કેટલાંક વિસ્તારોમાં 150 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. આજે પણ હૈદરાબાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યું છે. જ્યારે વરસાદના પગલે જે લોકોનું મકાન ક્ષતિગ્રસ્ત થયું છે તેમને નવુ ઘર બનાવી આપવામાં આવશે.