નર્મદા કેનાલમાંથી પાણીની આવક વધતાં વાસણા બેરેજમાંથી પાણી છોડાશે, વાસણા બેરેજ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા
અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે, નીચાણવાળા વિસ્તારને અલર્ટ અપાયું
નર્મદા કેનાલમાંથી 1 હજાર 177 ક્યુસેક પાણીની થઈ છે આવક
સાબરમતીમાંથી ફતેવાડી કેનાલમાં 1 હજાર 60 ક્યુસેક પાણી છોડાયું
રાજ્યમાં ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે. વિગતો મુજબ નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈ હવે આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે. નોંધનીય છે કે, સાબરમતીમાંથી ફતેવાડી કેનાલમાં 1 હજાર 60 ક્યુસેક પાણી છોડાયું હતું. સાબરમતીમાં નર્મદાના નીર આવતા વાસણા બેરેજ ઓવરફ્લો થવાની તૈયારી છે.
અમદાવાદના વાસણા બેરેજની હાલની સપાટી 134.50 મીટરે પહોંચી છે. જેને લઈ નીચાણવાળા વિસ્તાર પીરાણા, પાલડી, નવાગામ, સરોડા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હાલ ફતેવાડી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે. આ તરફ આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે.
હવામાનની આગાહી
આ તરફ આજે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ
અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે પોરબંદરમાં 2.5 ઈંચ જયારે સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. તો વળી બારડોલી, ક્વાંટ, હાંસોટ, કુતિયાણા, માણાવદરમાં પણ વરસાદ નોંધાયો છે. આ સાથે નખત્રાણા, મુંદ્રા, માળિયા, વાઘોડિયામાં પણ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.