સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નર્મદા વિભાગે પાણી ચોરી પર તવાઈ બોલાવી છે. ગેરકાયદે પાણીના જોડાણ કરનારા ખેડૂતોને દંડ ફટકારવામાં આવ્યા છે. તો પીવાના પાણીની લાઈનથી લોકોને પાણી ન મળતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યવાહીમાં પણ નર્મદા વિભાગ દ્વારા પોલીસને પણ સાથે રાખવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં એક તરફ પીવાનું પાણી નથી મળતું. તો બીજી તરફ પાણી ચોરી થઈ રહી છે. જેને પગલે નર્મદા વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ગત વર્ષે ખુબ જ ઓછો વરસાદ થયો હતો જેથી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફતે પીવાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે.
આ પ્રોજેક્ટોની પાઈપલાઈન સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે જે છેવાડા સુધી પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડે છે. ત્યારે કેટલાક લોકો દ્વારા પાણીની પાઇપલાઇન સાથે ચેડા કરીને તેમાં ગેરકાયદેસર કનેક્શન આપીને પાણી ચોરી કરતા હોય છે.
જેની જાણકારી નિગમના અધિકારીઓને થતાં આજરોજ પાણી ચોરી કરતા લોકો સામે લાલઆંખ કરી હતી અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.