આ વર્ષે ગુજરાતમાં ખુબ સારો વરસાદ થયો છે ત્યારે પોરબંદરના દેગામના ગ્રામજનોએ રાજાશાહી વખતના તળાવમાં વરસાદના પાણીનો સંચય કરીને તળાવને પુનર્જીવિત કર્યું છે. ઘણા વર્ષો જૂનું આ તળાવ વર્ષોથી સુકૂંભઠ્ઠ હતું, વર્ષો સુધી તેમાં પાણી ન ભરાતા આ તળાવમાં ઝાડી ઝાંખરા અને બાવળ ઉગી નીકળ્યા હતા ત્યારે ગ્રામજનોએ આ તળાવની કાયાપલટ કરવાનું નક્કી કર લીધું અને તે કરી બતાવ્યું તથા તળાવને છલોછલ ભરી દીધો.
ગુજરાતના આ ગામ લોકોએ સાચા અર્થમાં કર્યું જળસંચય
ગ્રામજનોએ જાતમેહનતથી સુકાભઠ્ઠ તળાવને ફરીથી જીવિત કર્યું
એક વર્ષ સુધી પાણીની સમસ્યાનો હલ
ગ્રામજનોએ કરેલા આ નિર્ણયમાં ગામના સરપંચે પણ મદદ કરી અને 5000ની વસ્તી ધરાવતા દેગામના ગ્રામજનોએ મેહનત કરીને શ્રમદાન કરીને આ તળાવમાં આખા વર્ષના પાણીનો સંગ્રહ કરી લીધો છે જેના લીધે ગામના લોકોને ખુબ મદદ થવાની છે. ગુજરાત હંમેશા પાણીની સમસ્યાથી પીડાતું રહ્યું છે અને તેમાં પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આ સમસ્યા ખુબ મોટી છે સરકાર દ્વારા ઘણા પ્રયાસ બાદ પણ ગુજરાતની પાણીની સમસ્યા દૂર થતી નથી ત્યારે આ ગામના લોકોએ સુઝબુઝ દાખવી હતી, દરવર્ષે વહી જતા પાણીનો વેડફાટ રોકવાના નિર્ણયથી આ ગામના લોકોની પશુપાલનનો અને પાણીના વપરાશનો પ્રશ્ન હલ થઇ ગયો છે. આ તળાવમાં પાણીનો સંચય કરવાથી ગામનું ભૂગર્ભ જળસ્તર ઉંચુ લાવવામાં તે મદદરૂપ થશે તથા આ પાણીથી કૂવાનું પાણીનું સ્તર પણ સુધરશે.
આ ગામની બાજુમાંથી જ બરડા સાગરની કેનાલ પસાર થાય છે પરંતુ તે કેનાલના પાણીથી ગ્રામજનો તળાવ ભરી શકતા નથી કારણ કે જો આ કેનાલમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતોની જમીન ડૂબમાં જાય અને તેમના ખેતરોમાં પાણી ફરી વળે જેના લીધે સરકારી રીતે આ કામ કરવું અશક્ય હતું.
સરપંચ અને યુવાનોના શ્રમદાને તળાવની કરી કાયાપલટ
ગામના સરપંચ અને યુવાનોની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે આ તળાવને ભરી શકાયું. સરપંચ ભરતભાઈએ ગામના વડીલો અને યુવાનોને પ્રેરિત કરીને તળાવની આસપાસ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવાનું નિર્ણય લીધો. ગામના યુવાનોએ શ્રમદાન કરીને તેને દૂર કર્યા. ગામના સરપંચે ઝાડી ઝાંખરા દૂર કરવા માટે અનુદાન આપી જેસીબી બોલાવ્યું તથા ગામના યુવાનોએ શ્રમદાન કર્યું અને તળાવમાં વરસાદનું પાણી ફરીથી ભરાય તેની વ્યવસ્થા કરીને તળાવને વરસાદી પાણીથી ભરી દીધું.
ગામલોકોએ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય એટલું પાણી સંગ્રહ કર્યું
ગ્રામજનોના કહેવા મુજબ તેમના ગામમાં રાજાશાહીના સમયથી તળાવ છે પણ તેનો ઉપયોગ થઇ શકતો ન હતો તેની આસપાસ ગાંડા બાવળ, આડબીડ જંગલ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા. આ તળાવમાં ખુબ કચરો એકઠો થઇ ગયેલ હોવાથી વરસાદના પાણીનો અહીં સંગ્રહ થતો ન હતો પરંતુ હવે ગામના લોકોએ ભેગા થઈને કરેલા શ્રમદાનથી ગામના એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય એટલું પાણી બચાવી લેવાયું છે. વર્ષોથી સૂકું તળાવ હવે પાણીથી છલોછલ થઇ ગયેલ છે.