ઉત્તર ગુજરાતની પ્યાસ બુઝાવતો ધરોઈ ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે. માત્ર 19 ટકા પાણી બચ્યું છે. છેલ્લાં 7 વર્ષમાં પહેલી વખત ધરોઈ ડેમનાં આ દિવસો આવ્યાં છે. ડેમ તળિયા ઝાટક થવાથી જગતનાં તાતને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાયું છે. તો પીવા માટેનો પાણીનો જથ્થો પણ જુલાઈ માસ સુધી જ ચાલી શકે છે. ત્યારે ધરોઈની આ દશા પર જોઈએ ખાસ અહેવાલ.
ઉનાળો શરૂ થતાં જ ચારેકોર પાણીની બૂમ બોલી રહી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમનાં પણ તળિયા દેખાવા લાગ્યાં છે. છેલ્લાં 7 વર્ષમાં પહેલી વાર ડેમનાં તળિયા દેખાયાં છે. હાલમાં ધરોઈ ડેમમાં 19 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ડેમમાં 6111 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો છે. જેમાંથી ડેડ સ્ટોકને બાદ કરતાં 12 ટકા પાણીનો જ ઉપયોગ થઈ શકે તેમ છે.
ગયાં વર્ષે અમદાવાદ રોજનાં 200 ક્યુસેક પાણી અમદાવાદ શહેરને આપનાર ધરોઈ ડેમ આજે ખુદ પાણી વિહોણો બન્યો છે અને જુલાઈ માસ સુધી જ પાણીનો જથ્થો ચાલે તેમ છે. એમાંય પછી જો વરસાદ ખેંચાયો તો ધરોઈને આશરે જીવતી ઉત્તર ગુજરાતની પ્રજાની પ્યાસ કોણ બુઝાવશે તે ભગવાન જાણે.
ધરોઈ ડેમ તળિયા ઝાટક થતાં તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને ડેમનાં ડેડસ્ટોકને બાદ કરતાં કુલ 5100 એમસીએફટી પાણીનાં જથ્થામાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. જો કે, સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં પાણી-પાણીનાં પોકાર શરૂ થઈ ગયાં છે. જગતનાં તાતની મુશ્કેલી વધી ગઈ છે. પીવાનાં પાણી હાલ કોઈ સમસ્યા નથી પરંતુ જો વરસાદ પાછો ઠેલાયો કે ઓછો પડ્યો તો ધરોઈ ઉત્તર ગુજરાતની પ્યાસ બુઝાવી શકે તેમ નથી.
ધરોઈ ડેમ છલકાવાનો આધાર રાજસ્થાનમાં વરસાદ પડવા પર પણ રહેલો છે. રાજસ્થાનમાં પણ ગયા વર્ષે ઓછો વરસાદ પડ્યો એટલે ધરોઈનાં તળિયા દેખાવા લાગ્યાં છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની કટોકટોનો સામનો કરી રહેલાં તંત્રને જુલાઈ માસ સુધી પાણીનો જથ્થો ચાલવાની આશા રાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.