ઉનાળો પોતાનો આકરો પરિચય આપી રહ્યો છે. ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાણીના પોકાર ઊઠી રહ્યા છે. જો કે, આ સ્થિતિ માત્ર ગુજરાતના ખૂણાઓના ગામડાઓની જ નથી, પરંતુ જે સ્થળેથી ગુજરાતને ટેન્કરમુક્ત કરવાની યોજનાઓ ઘડવામાં આવે છે, તેવા ગાંધીનગરની બિલકુલ પાસેના જ કેટલાક ગામોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જે ખરેખર દયનીય છે.
ગાંધીનગર: ઉનાળો પોતાનો આકરો પરિચય આપી રહ્યો છે. ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાણીના પોકાર ઊઠી રહ્યા છે. જો કે, આ સ્થિતિ માત્ર ગુજરાતના ખૂણાઓના ગામડાઓની જ નથી, પરંતુ જે સ્થળેથી ગુજરાતને ટેન્કરમુક્ત કરવાની યોજનાઓ ઘડવામાં આવે છે, તેવા ગાંધીનગરની બિલકુલ પાસેના જ કેટલાક ગામોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જે ખરેખર દયનીય છે.
ઉનાળો પોતાના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. રાજ્યના અનેક ગામડાઓમાં પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. કેમકે, રાજ્યના ગામ-ગામ અને ઘર- ઘર સુધી પાણી હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી. સરકારની જળવ્યવસ્થાપનની અનેક યોજનાઓના મીઠા નીર હજુ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી શક્યા નથી. અરે અંતરિયાળ ગામડાઓની ક્યાં વાત કરો છો.
જે સ્થળેથી ગુજરાતના ગામડાઓને ટેન્કરરાજથી મુક્ત કરવાના આયોજનો વિચારાઈ રહ્યા છે તેવા પાટનગર ગાંધીનગરની બિલકુલ નજીકના બારીજ નવાપરા ગામને જ જોઈલો ને.
ટેન્કરના પાણીના ભરોસે જીવતું આ ગામ માત્ર ગાંધીનગરની જ નજીક નહી. પરંતુ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ્થાનની બિલકુલ પાસે આવેલું છે. અહીં લોકો પાણી માટે ટેન્કરના સહારે જીવી રહ્યા છે. છતાં નવાઈની વાત એ છે કે, નથી તો કોઈ નેતાઓનું આ તરફ ધ્યના ગયું કે નથી સ્થાનિક તંત્રને આ સમસ્યાનો ઉકેલ સૂઝ્યો નથી.
રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે. ગુજરાતના તમામ ગામમાં ઘરે ઘરે પાણી પહોચાડાઈ રહ્યું છે. પરંતુ હકીકત એવી છે કે, મુખ્યમંત્રી અને મંત્રીનિવાસના પાછળ આવેલા બારીજ નવાપરામાં ટેન્કરના પાણીના ભરોસે જીવવા લોકો મજબૂર બન્યા છે. ગામમાં પાણીની વિકટ સમસ્યા વર્ષોથી છે.
ગરમીની શરૂઆત જ છે ત્યારે ગામમાં પીવાનું પાણીની અછત વર્તાઈ રહી છે. ગામમાં પાણીની ટાંકી છે. ઘરે ઘરે પાઇપ લાઈન નાખવામાં આવી છે પણ નળમાં પાણી આવતું નથી. મુખ્ય લાઈનમાં હેડ પમ્પ લગાવા છતાં પાણીનું એક ટીપું પણ મળતું નથી. લોકોનું કહેવું છે કે, સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત કરે છે પણ ગાંધીનગરમાં જ લોકોને પાણી મળતું નથી. તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં હજી સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી
નવા પરા વિસ્તારમાં 500થી વધુ પશુઓ છે. ગામના લોકો પશુપાલન પર નિર્ભર રહે છે. ગામમાં રોજગારીની વિકટ સમસ્યા છે. આથી પશુ પાલન સિવાય ગુજરાન ચલાવવું ગામના લોકો માટે મુશ્કેલ છે. હાલ ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી છે.
પીવાના પાણી તો ટેન્કર પર આધાર રાખવો જ પડે છે. પણ પશુને પીવડાવવા માટેનું પાણી પણ વેચાતું લાવવું પડે છે. ગામના લોકોની આર્થિક સ્થિતિ એવી નથી કે પાણી વેચાતું લાવીને પશુને પીવડાવી શકે.
આથી પશુને કરકસર કરીને એક ટાઈમ પાણી પીવડાવવામાં આવે છે. ગામના લોકોમાં ભીતિ છે કે. ઉનાળાના ચાર મહિના પશુને પૂરતું પાણી નહીં મળે તો મરણ પામશે. અને પશુના દૂધથી જે આવક મળે છે તે પણ બંધ થઈ જશે. લોકોનું એમ પણ કહેવું છે કે. મંત્રીઓના બગીચાઓમાં પાણી વેડફવામાં આવે છે તે અને તેમને આકરા ઉનાળામા પીવાનું પાણી પણ નસીબ નથી થતું.
ઉનાળાની આ સિઝનમાં જ્યાં એક તરફ ચૂંટણીપ્રચારનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે ધીમે પગલે પાણીની સમસ્યા પણ વકરી રહી છે. ચૂંટણીમાં હજારો મુદ્દા હોવાના પરંતુ તેમાં પાણીનો મુદ્દો હમેશા અગ્રીમ હરોળમાં જ રહેવાનો અને એમા પણ જ્યારે પાટનગરના આંગણામાં જ નાગરિકો ટેન્કરના સહારે જીવવા મજબૂર બન્યા હોય ત્યારે મુદ્દો સંવેદનશીલ બની જતા વાર નથી લાગતી. બારીજ નવા પરા ગામના લોકોને નવા વચનો આપતા પહેલા નળમાં પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી આપો તો તમારી યશ કલગીમાં એક છોગું જરૂર ઉમેરાશે.