એકસમયે ભરૂચથી બે કિલોમીટર સુધી ખળખળ વહેતી મા નર્મદા આજે ખુદ આજે પાણી માટે પોકાર કરી રહી છે. હાલ ભરુચ પાસે નર્મદા નદી જોશો તો તમને કચ્છનું રણ યાદ આવી જશે. કેમ કે, અહી હવે નદી નામે માત્ર ખારોપાટ જોવા મળી રહ્યો છે.
જ્યાં એક તરફ પોણા ભાગનું ગુજરાત સરદાર સરોવર ડેમના જળથી તરસ છીપાવી રહ્યું છે ત્યા સરદાર સરોવર ડેમની હેઠવાસની ભરુચ નદી જ પાણી ઝંખી રહી છે. જોઈએ પાણી વિનાની એક નદીનો આ અહેવાલ.
નદી કાંઠે અપૂરતા પાણીના કારણે કાદવમાં ખૂંપેલા આ નાવડાઓ જોનારને ન ગમે, કારણ કે, અહીં માત્ર નાવ જ કાદવામાં નથી ખૂપેલી પરંતુ નાવ સાથે જોડાયેલી અનેક જિંદગીઓ પણ એક કળણમાં ખૂંપી ગઈ છે.
ઉજ્જડ અને ખારાપાટમાં રખડતા આ માલઢોરને જોઈને તેમે એવું ન વિચારતા કે આ પશુઓ કોઈ કચ્ચના રણમાં ઘાસચારો શોધતા હશે. હકીકતમાં આ દ્રશ્યોની વાત આપણી લોકમાતા નર્મદાના છે. હા નર્મદા જે રાજ્યની જનતાની તરસ છૂપાવે છે તેની જ આવી અવદશા ભરુચ પાસે થઈ છે.
ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીની હાલત ભરુચ નજીક દયનીય બની છે. તેનું કારણ નર્મદા ડેમમાંથી પૂરતું પાડી છોડવામાં નથી તે છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના 4000 ક્યુસેક પાણીની જરૂર હોય છે.
તેની સામે માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા ડેમમાંથી નીચાણવાસમાં પૂરતું પાણી ન છોડાતાં તેની આજની સ્થિતિ જોઈને કોઈપણ હચમચી ઊઠે છે. સૂકો ભઠ નદીનો પટ જાણે કચ્છના સફેદ રણમાં ફેરવાઈ ગયો હોય એવો લાગે છે.
નર્મદા ડેમમાંથી રોજ છોડાતું 600 ક્યુસેક પાણી તો વરાળ બનીને ઊડી જાય છે. કબીરવડની હાલત પણ એવી જ છે. લોકો ત્યાં સેલ્ફી લઈ જાણે સફેદ રણમાં હોય તેવો માહોલ ઊભો કરી રહ્યાં છે.
ભરૂચ તાલુકાના નાંદ ગામથી ભાડભૂત સુધી નદીના પાણીના ટીડીએસ એટલે કે ક્ષારમાં 40 ગણો વધારો થયો છે. નદી કાંઠાનું પાણી પીવાલાયક રહ્યું નથી. ક્લોરાઈડનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.
નદીમાં છોડાતાં અપૂરતા પાણીંએ ખેડૂતોમાં અને માછીમારોમાં રોજગારીને લઈને ચિંતા માં પણ વધારો થઇ રહ્યો છે. નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં ડાઉન સ્ટ્રીમમાં નદીને દરિયો ભરખી ગયો છે. દરિયાના પાણીમાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી રહી છે તો માછલીની 28 પ્રજાતિ નાશ પામી ચૂકી છે. જેની સામે મગર જેવા જોખમી જળચરોની સંખ્યા વધી રહી છે.
સુકીભઠ્ઠ નર્મદા નદીના ફોટો ટ્વીટ કરીને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અહેમદ પટેલે ટ્વીટમાં જણાવ્યું કે, ગુજરાતમાં નોકરી ધંધાની જેમ નર્મદા પણ ગૂમ થઈ રહી છે.
ગુજરાતમાં માત્ર રોજગારી અને આવક નહી, નર્મદા પણ નાશ પામી રહી ચે. અહેમદ પટેલના ટ્વીટના સમર્થનમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતાનું નિવેદન આપ્યું હતું. મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપ સરકારમાં આર્થિક બાબતો જ નબળી નથી પડી પરંતુ સંશાધનો પણ નાશ પામ્યા છે.
ગુજરાતમાં નોકરી ધંધાની જેમ નર્મદા પણ ગુમ થઈ રહી છે. ગુજરાતમાં માત્ર રોજગારી અને આવક નહી, નર્મદા પણ નાશ પામી રહી છે. શુ ખરેખરમાં નર્મદા બે કાંઠે વહેતી થશે, શું માં નર્મદાને ખળખળ વહેતી કરવા રાજકારણીઓ વહેલી તકે રસ દાખવશે,કે પછી માં નર્મદા ભરુચિઓ માટે ભૂતકાળ જ બની રહેશે તે બાબત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.