પંચમહાલના ઘોઘંબામાં પીવાના પાણી માટે ગ્રામજનો કરે છે રઝળપાટ, ડેમનું પણ પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ, ઢોરોને સાચવવામાં પડે છે મુશ્કેલી
ઘોઘંબાના મોટા ભાગના ગામોમાં પાણીની અછત
સિંચાઈ માટે પાણી વેચાતું લાવવા ખેડૂત મજબૂર
પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ન મળતા લોકો પરેશાન
રાજ્યમાં ઉનાળો કેર વર્તાવી રહ્યો છે. કાળઝાળ ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ છેવાડાના ગામની તો, કેટલાક ગામોમાં તો પીવાનુ પાણી પણ નસીબ થતુ નથી. એક તો ધોખમધમતો તાપ અને તેમાં પાછુ પાણી ન મળે,ગ્રામજનો, ઢોરો બિચારા કરે શું ? પાછુ ગામમાં નળ છે પરંતુ પાણી આવતુ નથી. સૂકા ડુંગરાળ વિસ્તારમાં પાણી વિના ખબર નહી કેવી રીતે જીવતા હશે આ લોકો. આવી દયનીય હાલતમાં જીવી રહ્યા છે પંચમહાલનું ઘોઘંબા તાલુકાના ગામો, આવો જાણીએ ગામોમાં કેવી છે સમસ્યા.
ઘોઘંબાના મોટા ભાગના ગામોમાં પાણીની અછત
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં લોકો પાણી માટે રઝળપાટ કરે છે. કારણ કે ગામમાં પાણી આવતુ જ નથી. ડુંગર વિસ્તારમાં પાણી મળતુ નથી. ગામમાંથી કેનાલ પસાર થાય છે પરંતુ ગ્રામજનોને પાણી મળતુ નથી. 1 કિલોમીટર દૂર હેન્ડપંપ દ્વારા પાણી ભરીને લાવવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હેન્ડપંપ પણ ખરાબ સ્થિતિમાં છે. આ અંગે ગ્રામજનો સરપંચને રજૂઆતો કરીને થાક્યા પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. પરિણામે વેચાતુ પાણી લેવાનો વારો આવ્યો છે.
સિંચાઈ માટે પાણી વેચાતું લાવવા ખેડૂત મજબૂર
આ તો વાત થઇ ગ્રામજનોની પરંતુ ખેતી અને ઢોરોને કેવી રીતે સાચવતા હશે. પાણી જ આવતુ નથી તો સિંચાઇ માટે પાણી લાવવુ ક્યાંથી ? આ અંગે ગ્રામજને જણાવ્યુ કે અમે કલાકના 60 રુપિયા આપીને સિંચાઇ માટે પાણી લાવીએ છીએ. પરંતુ વેચાતુ પાણી પણ કેટલીવાર લાવવુ ? પશુઓને પાણી પીવડાવવા અને ચરાવવા માટે ગામની બહાર લઇ જવા પડે છે. કારણ કે ગામમાં પાણી ન આવતુ હોવાથી સિંચાઇ થઇ શકતી નથી પરિણામે ઘાસચારો પણ મળતો નથી.
ગ્રામજનોને ક્યારે મળશે પાણી ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે ગામમાં કેનાલ જતી હોવા છતાં પણ ગ્રામજનોએ કેમ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે ? શા માટે ગ્રામજનો માટે પાણીની સુવિધા કરવામાં આવતી નથી. ચૂંટણી ટાણે મત લેવા આવતા નેતાઓ જુઓ આ છે તમારુ ગામ, જરા ગામમાં આવીને તો જુઓ ગ્રામજનો કેવી દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. મત મેળવવા માટે મોટા મોટા વાયદા કરીને સંતાઇ ગયેલા નેતાઓ જાગો અને જુઓ તમારા ગામની પરેશાની. પાણીવિના ગ્રામજનોના બુરા હાલ થઇ રહ્યા છે. ત્યારે જોવુ રહ્યું કે ગામમાં નહેર મારફતે ક્યારે પાણી આપવામાં આવશે. ક્યારે ગ્રામજનો સારી રીતે ખેતી કરી શકશે.