સુરેન્દ્રનગર: રાજ્યભરમાં મેઘો મહેરબાન બન્યો છે. પરંતુ એવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર વાસીઓ સાથે હજૂ તેના રિસામણાં મનામણાં ચાલી રહ્યા છે. ત્યારે જ તો ધોળીધજા ડેમ ખાલીખમ પડયો છે.
ધોળીધજા ડેમ એટલે સુરેન્દ્રનગરની જીવાદોરી. પરંતુ જિલ્લામાં માત્ર છાંટણારૂપી જ વરસાદ પડયો છે. જેના કારણે ડેમ તળિયાઝાટક છે. તેનું તળિયું દેખાઈ રહ્યું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે હજૂ થોડા દિવસો જો વરસાદ ન પડે તો સુરેન્દ્રનગર વાસીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
મહત્વનું છે કે સુરેન્દ્રનગરના અંદાજીત 3 લાખથી પણ વધુ લોકો ધોળીધજા ડેમ મારફતે પીવાનું પાણી મેળવી રહ્યા છે. ડેમમાં પાણીની ક્ષમતા 20 ફૂટથી વધુથી વધુની છે. જ્યારે હાલ માત્ર 9 ફૂટ જેટલું જ ડેમના પાણી બચ્યું છે. જેના કારણે ડેમનું તળિયું દેખાવા લાગ્યું છે અને આ પાણી માત્ર 7 થી 8 દિવસ સુધી જ ચાલી શકે તેમ છે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે તાજેતરમાં જ ધોળીધજા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ ખેંચાતા આ પાણી પણ પુરું થઈ ગયું છે. જેના કારણે સુરેન્દ્રનગર વાસીઓ પર જળ સંકટ તોળાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જોકે પાણીના સતત ઘટી રહેલા સ્તરને જોતાં પાલિકા પણ ગંભીર બની છે અને બે થી ત્રણ દિવસની અંદર ફરી ધોળીધજા ડેમમાં નર્મદાના નીર ભરવાની કવાયત હાથ ધરી છે.
આ માટે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મંજૂરી પણ લેવામાં આવી છે. પરંતુ સુરેન્દ્રનગર વાસીઓના માથે તોળાઈ રહેવું આ જળ સંકટ ક્યારે દૂર થાય છે અને નર્મદાના નીરનું ક્યારે આગમન થાય છે તે જોવું રહ્યું.