આવી હરિયાળી જ્યાં લહેરાતી હોય તેવા ગામમાં વસવાનું કોને મન નહીં થાય? શહેરથી દૂર આ ગામમાં આ હરિયાળી માત્ર વરસાદથી જ નથી લહેરાઈ પરંતુ આ ગામના મહેનતકશ ખેડૂતોનાં રળિયામણાં હાથની આ કમાલ છે. જળ સંગ્રહ સાથે 3000 જેટલા લીલાછમ વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું શેખ પીપરિયા ગામ.
જળસંગ્રહ (Water Revolution) એ એક એવી પ્રવૃત્તિ છે જે ભવિષ્યની બીજી અનેક ચિંતાઓ દૂર કરી નાખે છે. સો દર્દની એક દવા જેવી આ પ્રવૃત્તિ બદલાતા પર્યાવરણમાં માનવજાતનું રક્ષણ કરી શકે, એટલુ જ નહીં ધરતીને નંદનવન પણ બનાવી શકે છે. આ વાતને અમરેલી જિલ્લાનાં શેખ પીપરિયા ગામના ગ્રામજનો સારી રીતે સમજી શક્યા છે. ગામનાં લોકોએ તળાવડીઓ બનાવી માત્ર જળસંગ્રહ જ નહીં પરંતુ સાથે સાથે 3 હજાર વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં હરિયાળી સર્જી દીધી છે. ત્યારે જોઈએ હરિત ક્રાંતિની એક જૂથ પહેલનો આ અહેવાલ.
આવી હરિયાળી જ્યાં લહેરાતી હોય તેવા ગામમાં વસવાનું કોને મન નહીં થાય? શહેરથી દૂર આ ગામમાં આ હરિયાળી માત્ર વરસાદથી જ નથી લહેરાઈ પરંતુ આ ગામના મહેનતકશ ખેડૂતોનાં રળિયામણાં હાથની આ કમાલ છે. જળ સંગ્રહ સાથે 3000 જેટલા લીલાછમ વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી (amreli) જિલ્લાનું શેખ પીપરિયા (Shekh Pipariya) ગામ.
આ ગામના લોકોએ ચોમાસાના પાણીનો સંગ્રહ કરવા 17 જેટલા તળાવડાઓ બનાવ્યા તો તેમની મહેનત જોઈ મેઘો પણ મહેરબાન થઈ ગયો અને એવા તો ધોધમાર આશીર્વાદ વરસાવી ગયો કે આજે ગામના તમામ તળાવો છલોછલ છલકાઈ ગયા છે અને ખેડૂતોના ચહેરા પર મહેનત રંગ લાવી હોવાનાં ભાવ ઊડીને આંખે વળગી રહ્યાં છે. દેનારો હજાર હાથવાળો હોય તો પછી આ ગામના લોકો એકલ દોકલ થઈને શું કામ કામ કરે? 5 હજારની વસતી ધરાવતા શેખ પીપરીયા ગામના લોકોએ સામૂહિક પ્રયાસ આદર્યો અને જળક્રાંતિ સર્જી દીધી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આ શેખ પીપરિયા ગામની વસતિ 5 હજારની છે. આ ગામ જળક્રાંતિ સર્જીને અન્ય ગામડાઓને પ્રેરણા આપી રહ્યું છે. ગામ લોકોએ ખૂબ જ ટૂંકા સમયમાં 3 હજાર વૃક્ષોનું ટ્રીગાર્ડ સાથે વાવેતર કરીને પર્યાવરણને બચાવવા ઝુંબશ છેડી દીધી છે. આ ગામમાં લોકો કરતાં વૃક્ષો વધારે હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ગામના મહેનતકસ નાગરિકોએ આખા ગામને લીલુંછમ બનાવી દીધું છે. તો પાદરને જળથી ઝળહળતું. જળક્રાંતિ સાથે હરિત ક્રાંતિ કોને કહેવાય તે જોવું હોય તો આ ગામની અવશ્ય મુલાકાત લેવી પડે.
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને શેખ પીપરિયા ગામના લોકોએ સાર્થક કરી બતાવ્યું છે. ગામના યુવાધનથી લઈને મજૂરો અને ખેડૂતોના શ્રમદાન સાથે શેખપીપરિયાના દાતાઓના ઉદાર દાનની મદદથી સરકારની સુજલામ સુફલામ યોજનાને બળ મળ્યું છે. તળાવમાં ભરાયેલ જળ સંગ્રહને કારણે ખેડૂતોના કુવાના તળ 40થી 50 ફૂટે આવી જતા બારેમાસ ખેતી કરી શકે તેવા ઉજળા સંજોગો ઊભા થતાં ખેડૂતો ખુશખુશાલ છે.