ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થયા બાદ હવે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું
વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 1 હજાર 957 ક્યૂસેક પાણી છોડાયુ
પાણી છોડવાથી તારાપુરના 12 ગામને એલર્ટ
નદી કાંઠે પશુ ચરાવવા ન જવા અપાઈ સૂચના
તલાટી સાથે ડિઝાસ્ટર ટીમને એલર્ટ રહેવા સૂચના
આણંદ પંથકમાં સાબરમતી નદીમાં પાણી છોડાયુ છે. વાસણા બેરેજમાંથી 1 હજાર 957 ક્યૂસેક પાણી છોડાયા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ તલાટી સાથે ડિઝાસ્ટર ટીમને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થયા બાદ હવે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાયુ
રાજ્યમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં પણ પાણીની આવક થઈ છે. તેવામાં વાસણા બેરેજમાં પણ પાણીની આવકને કારણે હવે સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવાને લઈ તારાપુરના 12 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે નદી કાંઠે પશુ ચરાવવા ન જવા પણ સૂચના અપાઈ છે. આ તરફ તલાટીઓ સાથે ડિઝાસ્ટર ટીમને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં હજી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
ગઇકાલે અમદાવાદમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોદી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.