સેલવાસમાં રમવા અને બેસવાની વ્યવસ્થા સાથેનો વોટરપ્રૂફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો
નવરાત્રીમાં વરસાદની આગાહી
વરસાદની સંભાવના વચ્ચે તૈયારીઓ
ખેલૈયાઓને ખલેલ ન પડે તે માટે વ્યવસ્થા
સેલવાસમાં વોટર પ્રૂફ ડોમની વ્યવસ્થા
નવરાત્રી પર્વને લઇ ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ નવરાત્રીના આયોજનને લઈને ઉત્સાહનો માહોલ છે.. તો બીજી તરફ નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાને લઈ ખેલૈયાઓને સાથે ગરબા આયોજકો પણ ચિંતામાં છે. હવામાન વિભાગની આગાહીને પગલે જો વરસાદ વરસે તો આયોજકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આથી કેટલીક જગ્યાએ આયોજનો પડતા મૂકવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યાએ વરસતા વરસાદના પણ ગરબાના આયોજનમાં મેઘરાજા કોઈ ખલેલ ન પહોંચાડી શકે તે માટે ખેલૈયાઓ માટે વોટર પ્રૂફ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
2 હજારથી વધુ લોકો માટે રમવા અને બેસવાની વ્યવસ્થા
સેલવાસમાં આ વખતે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.. જ્યાં 2 હજારથી વધુ લોકો માટે રમવા અને બેસવાની વ્યવસ્થા સાથેનો વોટરપ્રૂફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોનાને કારણે બે વર્ષ સુધી આયોજન મોકૂફ રહ્યા હતા. પરંતુ આ વર્ષે બે વર્ષ બાદ દાદરા નગર હવેલીમાં પણ નવરાત્રી મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના આરંભનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ત્યારે આયોજકો પણ આ વખતે વરસતા વરસાદમાં પણ ગરબા ના આયોજન થઈ શકે તે માટે વોટર પ્રૂફ ડોમ સાથે જ થઈને બેઠા છે.
નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદ થઈ શકે: હવામાન વિભાગ
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.
26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો: અંબાલાલ પટેલ
અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.