ભાવનગરઃ ઘોઘા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાં અને ગામડાંઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ અનેક ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે સરકારની પાણી આપવાની યોજનાઓ અંગે અનેક સવાલો ઉભા થયા છે. મહિલાઓએ કંટાળીને ગ્રામપંચાયતની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને રોડ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ઘોઘાના કોળિયાક કુડા હાથબ સહિતના 10 જેટલા ગામોમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. પરંતુ આ વખતે ઉનાળો શરૂ થયા પહેલા પાણીની સમસ્યા હતી. જેને લઈને સ્થાનિકોએ તંત્રમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. કોળિયાક ગામની વસ્તી 7 હજારની છે. ગામના લોકોને દરરોજ પીવા માટે 5 લાખ લીટર પાણીની જરૂરિયાત છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાત મુજબ પાણી મળતું નથી. હાલ અહીં દરરોજ 50 હજાર લીટર પાણી મળે છે અને તે લોકો માટે પૂરતું નથી.
અહીં ગામમાં આવેલા પમ્પ અને કૂવામાં પાણીના તળ નીચા ગયા છે અને પાણી પ્રદુષિત બહાર આવે છે. તેથી લોકોને પાણી માટે 3 કિમી ચાલીને અન્ય એક પમ્પ પર લાંબી કતારમાં ઉભા રહી પાણી ભરવું પડે છે. જેનાથી કંટાળીને કોળિયાક ગ્રામપંચાયતની કચેરી સામે બહેનો મોટી સંખ્યામાં ભેગી થઈ હતી. અને પાણી આપોના નારા લગાવ્યા હતા.
ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જૂની છે. જો કે અહીં કોઈપણ રાજકીય પક્ષ આ સમસ્યા ઉકેલી શક્યો નથી. જેનો પ્રજાને રંજ છે આ વિસ્તાર પાસેના 5 કિલોમીટર વિસ્તારમાં બહેનો માથે બેડાં લઈને અને ભાઈઓ સ્કૂટર પર કે અન્ય વાહનોમાં પાણીના કેરબા લઇ ને પાણી શોધતા દેખાય છે. ગામના સરપંચનું કહેવું છે કે અમે અનેક વખત રજૂઆત કરી છે પણ તંત્ર અમારું કંઈ સાંભળતું નથી. પાણીના ટાંકા અને પમ્પના સમારકામની જરૂર છે. પરંતુ તેનું કામ તંત્ર કરાવી રહ્યું નથી.
એક તરફ દરિયો છે અને તેની આસપાસના ગામમાં પીવાના પાણીની અછત છે. ગામલોકોની કેવી વ્યથા છે કે પાણી નજર સામે છે પણ તે પીવા લાયક નથી અને સરકારની યોજનાઓ અંતર્ગત પાણી મળે એમ છે પરંતુ સમારકામના અભાવે ગ્રામજનો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.