ઉનાળામાં પાણીની તકલીફો દરેક વિસ્તારોમાં વધી જાય છે. પરંતુ શહેરી વિસ્તારોમાં કે, જ્યાં કરોડો રૂપિયાના વેરા ઉઘરાવવામાં આવે છે. ત્યાં તંત્રના પાપે લોકો પાણી માટે તરસે છે.
ભાવનગરમાં પાણી માટે તરસતા લોકો
ફુલસર, કુંભારવાડામાં લોકો પરેશાન
અનિયમિત રીતે મળે છે પાણી
ઉનાળામાં પાણીની તકલીફો દરેક વિસ્તારોમાં વધી જાય છે.. પરંતુ શહેરી વિસ્તારોમાં કે, જ્યાં કરોડો રૂપિયાના વેરા ઉઘરાવવામાં આવે છે.ત્યાં તંત્રના પાપે લોકો પાણી માટે તરસે છે. આવી જ સમસ્યાનો સામનો ભાવનગરના ફુલસર અને કુંભારવાડાના લોકો કરી રહ્યા છે.
પ્રેશર સાથે પાણી ન આવતા મુશ્કેલી
ભાવનગરના ફુલસર અને કુંભારવાડાના લોકો પાણીની અછતનો ભયંકર સામનો કરી રહ્યા છે. અહીં મહિલાઓ પાણીની ટાંકીમાંથી દોરડા વડે પાણી ભરતી નજરે પડે છે. આ કોઈ અંતરિયાળ ગામડું નથી પરંતુ ભાવનગર શહેરના ફુલસર અને કુંભારવાડા વિસ્તારના છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા તો વર્ષોથી છે. પરંતુ ઉનાળો શરૂ થયો ત્યારથી કેટલીક જગ્યાઓ પર અનિયમિત પાણી આવે છે. તો ક્યાંક પ્રેશરથી પાણી ન આવતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.. જેને લઈને હવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
લાખો રૂપિયા વેરો ઉઘરાવવા છતાં પાણી અનિયમિત
મહત્વની વાત તો અહીં એ છે કે, કુંભારવાડા વિસ્તાર ભાવનગરના મેયરશ્રીનો જ મત વિસ્તાર છે. છતાં અહીં પાણી માટે લોકો તરસી રહ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ લોકો રજૂઆતો કરી ચૂક્યા છે. છતાં અહીં પાણીને લઈને કોઈ સમાધાન થયું નથી. માત્ર કુંભારવાડામાં જ નહીં પરંતુ ફુલસર વિસ્તારમાં પણ 45 સોસાયટીઓ આવેલી છે. જ્યાં પણ લોકોને પીવા માટે અનિયમિત પાણી મળી રહ્યું છે.મહત્વનું છે કે, આ વિસ્તારોમાંથી પાણીની સમસ્યાઓ દૂર કરવા માટે કરોડોના ખર્ચે પાણીની ટાંકીઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ તેનું કામ પણ છેલ્લા ઘણા સમયથી ગોકળગાય ગતિએ ચાલે છે.
નળમાં જળ કેમ નથી આવતું?
ત્યારે સવાલ એ થાય છે કે, લાખો રૂપિયાનો વેરો ઊઘરાવો છો તો પાણી કેમ પુરુ નથી પાડતા? શું તાયફાઓ કરવા માટે જનતા પાસેથી વેરા ઉઘરાવો છો? કેમ આ વિસ્તારોમાં પાણી માટે લોકોને પરેશાન થવું પડે છે? મેયર મત લઈ ગયા તો કેમ કામ નથી કરતા? સવાલો અનેક છે. પરંતુ સવાલો કરતા પણ હવે અહીં લોકોની સમસ્યાઓનો અંત આવે તે મહત્વનું છે.