ગુજરાતના અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ
અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને ખેડા પંથકના ખેડૂતો મોટી મુશ્કેલી
જંગલી ભૂંડ તથા નીલગાયના ત્રાસને કારણે ખેડૂતો ખૂબ પરેશાન
ગુજરાતના અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ સતત વધી રહ્યો છે. શિયાળાની સિઝન હોવાથી ખેડૂતોએ રવિ પાકમાં ઘઉં-જીરુ સહિતના પાકો ખેતરમાં મહામહેનતે વાવણી તો કરે છે ત્યારે જંગલી ભૂંડ તથા નીલગાયના ત્રાસને કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે. આ સાથે ઉભો પાક જંગલી નીલગાય અને સુવરો આવી ચરી જાય છે. આજે આપણે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને ખેડા પંથકના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે જાણીશું.
અમરેલીમાં નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ
અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લા આસપાસના ગામો જંગલને અડીને આવેલા છેની ધારી ગીર પૂર્વનું જંગલ છે. જેથી અહીં જંગલી પશુઓનો ત્રાસ ખેડૂતોને ખૂબ છે. ખાસ કરી નીલગાય અને જંગલી સુવરનો ત્રાસ ખેડૂતોને ખૂબ છે. હાલ ખેડૂતોનો ઉભો પાક તૈયાર છે, જેમાં ઘઉં, ચણા, જીરું અને શેરડી સહિતનો પાક ખેડૂતોએ વાવણી કરેલ હોય ત્યારે આ પાકને નુકસાન કરવા જંગલી ભૂંડ અને નીલગાય આવી જાય છે. દિવસે અને રાત્રે ગમે ત્યારે આ ભૂંડ અને નીલગાય આવી ચડે છે અને ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરે છે. જેથી ખેડૂતોએ આ ભૂંડથી અને નીલગાયથી બચવા તાર ફેન્સીંગ કરી ખેડૂતોએ ખેતર પરથી બાઉન્ડ્રી કરી છે. ખેડૂતો સતત દિવસ રાત્રે એક કરી ખેતરોમાં વાંચડા બનાવી તેની ઉપર સતત 24 કલાક આ પાકને રક્ષણ કરે છે. છતાં પણ આ ભૂંડ અને નીલગાય ખેડૂતોના ખેતરમાં આજે પાર ફેન્સીંગ છે તેમાંથી પસાર થઈ ખેતરમાં ઘૂસી જાય છે અને ખેડૂતોના ઉભા પાકને નુકસાની પહોંચાડી રહ્યા છે.
મહત્વનું છે કે, મીતીયાળા, સેંજળ, ગઢડી સાકરપરા સહિતના વિસ્તારમાં જંગલને અડીને આવેલા છે . અહીં જંગલમાંથી નીલગાય જંગલી ભૂંડના ટોળેટોળા ખેતરોમાં આવી ચડે છે, ક્યારેક ક્યારેક ગામમાં પણ ઘૂસી જાય છે પરંતુ ખેતરોમાં આવી જવાથી આ ઉભા પાકને નુકસાની પહોંચાડી રહ્યા છે. જે તે સમયે નીલ ગાયને મારવાનો સરકારનો હુકમ હતો, પરંતુ હાલ આજે નીલ ગાયને મારવું ગુનો બનતું હોય જેથી લોકો નીલ ગાયને ખેતરમાંથી દૂર કરતા પણ ડર અનુભવી રહ્યા છે.
ખેડા જિલ્લામાં પણ નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ
ખેડા જિલ્લાના ઠાસરા, મહુધા, નડીયાદ, ખેડા અને માતર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં ઉભા પાકોમાં નીલગાય અને જંગલી ભૂંડ નાસભાગ કરી પાકને સફાચટ કરી દે છે. આ નીલ ગાયોના ત્રાસથી બચવા માટે ખેડૂતો ઝટકા મશીન, ફેંસિંગ ખેતરના ફરતે મૂકે છે. છતાં નીલગાય અને જંગલી ભૂંડ રોજ તેને કુદી ખેતરમાં ઘુસી ઉભા પાકને નુકશાન કરે છે. જેથી ખેડૂત રાત્રી ઉજગરા કરી, ફટાકડા ફોડી ખેતરમાં અવનવા ચડિયા ઉભા કરી નીલગાય અને જંગલી ભૂંડને ભગાડે છે.જોકે તે થોડીવારમાં પાછા આવી પાકને નુકસાન કરે છે.
હાલ ખેડા જિલ્લામાં ખેડૂતો દ્વારા એરંડા, ઘઉં, તમાકુ અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં આ નીલ ગાયોના આતંકથી 50 ટકા નુકશાન થયું છે. ખાસ કરીને તમાકુના પાકને કારણ કે, આ નીલ ગાય પહેલા તમાકુ જેવા પાકને નુકસાન નહોતા કરતા તે હવે આ પાકને નુકશાન કરતા થયા હોઇ ખેડૂતોની ચિંતા અને નુકશાનમાં વધારો થયો છે. હાલ જિલ્લામાં વ્યાપક નુકશાન કરનાર આ નીલ ગાયોએ આતંક મચાવતા ખેડૂતો સરકાર સમક્ષ ઉભા પાકને બચાવવા આજીજી કરી રહ્યા છે. સરકાર કોઈ નક્કર પગલાં અને યોજના અમલમાં મૂકી આ નીલ ગાયોના ત્રાસ ઉપર કાબુ મેળવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં જંગલી ડુક્કર અને નીલગાયનો આતંક
પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની કુદરતી રચના રકાબી જેવા આકારની છે. જેને કારણે ચોમાસાની ઋતુમાં ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેથી ખેડૂતો વર્ષ દરમિયાન માત્ર 2 જ પાક લઈ શકે છે. ખેડૂતો મહામેહનતે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાક વાવે છે. પરંતુ આ વિસ્તારમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે. ભૂંડ અને રોઝ ના ત્રાસને કારણે ખેડૂતોના મહામૂલી પાકને ઘણું નુકસાન થાય છે. જંગલી ડુક્કર અને નીલગાય ઘેડ પંથકના ઘઉં, ચણા, જુવાર અને જુરુંના પાકને નુકસાન કરી રહ્યાં છે. મહત્વનું છે કે, પોરબંદરમાં વર્ષ 2003થી નીલગાય અને જંગલી ડુક્કરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂતોએ અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે. આમ છતાં ખેડૂતોને નીલગાયની સમસ્યામાંથી મુક્તિ મળી નથી. જેથી ખેડૂતોને નીલગાયની સમસ્યામાંથી મુક્તિ અપાવવા સરકાર પાસે માગ કરી છે.
ગીરનાં ગામોમાં પણ નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ
ગીર જંગલમાંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એજ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોના પાકને નુકશાન કરે તો ? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે. ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રી રખોપુ ન કરે તો મહિનાઓ મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે.
ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું. ખેડૂતો ખુશ પણ થયા. પરંતુ જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એક જ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રી દરમ્યાન દીપડાનો ભય પણ એટલો જ રહે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય ,રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. જેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રી દરમ્યાન પોતાના ખેતરનું રખોપુ કરવું પડે છે.
ગીરના મોટાભાગના ખેડૂતો સીમાંત હોઇ ખૂબ ટૂંકી જમીન ધરાવે છે. 4થી 5 વિઘા જમીનમાં ફેનસિંગ કરે તો લાખો રૂપિયાનો ખર્ચ થાય જે ખેડૂતોને પરવડે તેમ નહીં. ઓછા તારની ફેનસિંગ કરે તો નીલગાય, ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આ તાર નીચેથી અથવા ઉપરથી કૂદીને ખેતરમાં રહેલા પાકને રગદોળી નાખે. 100 થી 150 વિઘા જમીનમાં વાયર ફેનસિંગ એક સાથે કરે તો સરકારના વન વિભાગ દ્વારા સબસીડી મળે. જે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો માટે શક્ય નથી. જો ખેડૂતો પોતાના ખેતર ફરતે ઝટકા મશીન ફિટ કરે અને સિંહ કે દીપડાનું કે પાછી અન્ય કોઈ વન્ય પ્રાણીનું મોત થાય તો ખેડૂતો માટે વળી નવી ઉપાધિ શરૂ થાય. વન વિભાગના કાયદા સંદર્ભે જેલમાં પણ જવું પડે. આ સંદર્ભે વન વિભાગ જાગે અને સરકાર દ્વારા વન વિભાગને સૂચના આપી ખેડૂતોની પીડા સમજી યોગ્ય કાર્યવાહી કરવા જણાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
VTVના સળગતા સવાલ
નીલગાય અને જંગલી ડુક્કરના ત્રાસથી ખેડૂતોને ક્યારે મળશે મુક્તિ?
ખેડૂતો ક્યાં સુધી પાકને થતું નુકસાન સહન કરશે?
નીલગાયની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી થતો?
ખેડૂતોને નીલગાયને કારણે જે સમસ્યા થાય છે તે સરકારને ધ્યાને ક્યારે આવશે?
શું જંગલમાં ઘાસચારો નાંખીને નીલગાયને ખેતરમાં આવતા અટકાવી શકાય નહીં?
સરકારે નીલગાયની સમસ્યાનું સમાધાન કરવા શું પ્રયાસ કર્યા?
ખેડૂતો પોતાના પરિવાર માટે ખેતી કરે છે કે નીલગાય માટે?
નીલગાયથી ખતરો કેમ?
નીલગાયથી બચવા ખેડૂતો શું કરી શકે?
ખેતરમાં નીલગાય ઝુંડમાં આવવાથી એક અથવા બે ખેડૂતો નથી કરી શકતા પાકનું રક્ષણ
ખેડૂતો ખેતર ફરતે કરી શકે તારનું ફેન્સિંગ
નીલગાયને ભગાડવાથી તે બીજાના ખેતરમાં કરે છે નુકસાન, નીલગાય રોડ પર અકસ્માત પણ સર્જે છે
ખેડૂતો વન વિભાગના અધિકારીઓને નીલગાય અંગે કરી શકે જાણ
નીલગાય એ એક એવું પ્રાણી છે જે ખેતરમાં થતાં તમામ પાકો ખાય છે
નકામુ રંગીન કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લગાવી શકે
નીલગાયની પ્રજનન શક્તિ ભારે હોવાથી, થોડા વર્ષોમાં તેની સંખ્યામાં અઢળક વધારો થાય છે
રંગીન કાપડ જોઈને નીલગાય ખેતરથી રહે છે દૂર
નીલગાય સામાન્ય રીતે વહેલી સવારથી બપોર સુધી અને સાંજે સૂર્યાસ્ત સુધી ચરવાનું ચાલુ રાખે છે
ખેતર ફરતે ખેડૂતો બનાવી શકે દિવાલ
નીલગાય પાણી વિના લાંબા સમય સુધી રહી શકે, અન્ય પશુની માફક દરરોજ નિયમિત પાણીની જરૂર પડતી નથી
ઘણા ખેડૂતો ખેતર ફરતે અર્થિંગ લગાવી નીલગાયને દૂર રાખવા કરે છે પ્રયાસ